અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં બનેલ કલંકિત ઘટના અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધીના રાજકીય સચિવ અને સાંસદ અહેમદભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આજે એક કમનસીબ ઘટના બની છે. વિધાનસભા એ પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવા માટેનો એક મંચ છે. છેલ્લા ૧૫ વર્ષથી આ પવિત્ર સંસ્થાના મહત્વને ઘટાડવાના અને વિરોધી મંતવ્યોને દબાવી દેવાના પ્રયાસો થઇ રહ્યા છે ખરેખર તો આવા પ્રયાસ કરનારાઓએ આત્મ નિરીક્ષણ કરવાની જરૂર છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યુ હતું કે, ભાજપ પહેલેથી અહંકારી, આપખુદ અને ભ્રષ્ટ પાર્ટી છે. દેશમાં લોકશાહી હોવા છતાં હમેશા પ્રજાનો અવાજ અને વિપક્ષની ભૂમિકાને દબાવે છે સંસ્કારીતાના અભાવના કારણે ભાજપ દ્વારા બેફામ નિવેદનો કરવામાં આવે છે.
સરકાર કોગ્રેસ પક્ષની હશે ત્યારે કોંગ્રેસ વિનમ્રતા સાથે તમારી વાત સાંભળશે, વિધાનસભામાં સાંસદ ખાતે ખેડુતો પરના અત્યાચાર, ભાજપ સરકાર દ્વારા ૨૦,૦૦૦ કરોડનું કેજી બેસિન કૌભાંડ અને ભાજપના જ પદાધિકારીઓ દ્વારા નલીયા દુષ્કર્મ કાંડ અંગે વિધાનસભામાં ચર્ચા કરવાને બદલે ખોટી રીતે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોને રજૂઆતની તક ન આપી, જાણી જોઇને સત્તાધારી પક્ષ દ્વારા સતત બિભત્સ શબ્દો સાથે વરવું પ્રદર્શન કરવામાં આવ્યું જેને કોંગ્રેસ પક્ષ વખોડી કાઢે છે તેમ તેમણે જણાવ્યુ છે.