@ ભાવેશ રાજપૂત
અમદાવાદમાં ફરી એક વાર નશાના સામાનની હેરાફેરી કરી રહેલા ત્રણ નશાના સોદાગરોને 110 કિલો ગાંજા સાથે ઝડપી લીધા છે. ગાંજાનો આ જથ્થો અંકલેશ્વરથી અમદાવાદમાં લવાયો હતો. અગાઉથી મળેલી બાતમીના આધારે નારોલ પોલીસે લાંભા ત્રણ રસ્તા પાસેથી પસાર થઇ રહેલી ઓટોરિક્ષામાંથી આ સામાન ઝડપી પાડ્યો છે. અને તેની હેરાફેરી કરી રહેલા ૩ આરોપીઓની ધરપકડ કરી છે. આટલી મોટી માત્રામાં અમદાવાદમાં ગાંજો મંગાવનાર સોદાગરોની પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
ઝડપાયેલા આ ત્રણેય વ્યક્તિઓ અમદાવાદના રાણીપના રહેવાસી છે. કિરીટ પંચાલ, ચીમન સોલંકી અને કૃષ્ણરાજ પુરોહિત નામનાં આ ત્રણેય શખ્સો નડિયાદથી રિક્ષામાં ગાંજો લઈને અમદાવાદ આવ્યા અને પોલીસના હાથે ઝડપાઈ ગયા છે.
અમદાવાદ નારોલ પોલીસ લાંભા ત્રણ રસ્તા પર પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે એક રીક્ષા લાંભાથી નારોલ તરફ આવી રહી છે જેમાં નશાનો સામાન મોટી માત્રામાં છે જેથી પોલીસે બાતમીના આધારે રીક્ષા રોકી તેમાં તપાસ કરતા ગાંજાનો જથ્થો પોલીસને મળી આવ્યો હતો. પોલીસે ઓટો રીક્ષા અને ચાર મોબાઇલ ફોન સહિત કુલ ૧૧ લાખ 63 હજાર 110 નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે આરોપીઓ અંકલેશ્વરથી આ ગાંજાનો જથ્થો અમદાવાદમાં લાવ્યા હતા. ત્યારે મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપાતા હાલ તો પોલીસે ગાંજો આપનાર અને મંગાવનાર બંને શખ્સોને ઝડપી પાડવા માટે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.