ગુજરાતમાં ચોમાસુ વિધિવત બેસી ગયું છે,રાજ્યમાં મેઘમહેર અવિરત જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ મૂશળધાર વરસાદની આગાહી વચ્ચે આજે સવારથી અત્યાર સુધી મેઘરાજાએ ગુજરાતમાં એટલે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનો માહોલ જોવા મળ્યો છે, જેમાં અનેક વિસ્તારમાં ધોધમાર તો ક્યાંક છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે.આજે સવારે 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધીના 15 કલાક દરમિયાન રાજ્યના કુલ 151 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં સાડા 13 ઈંચ વરસાદ નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે સરકારી આંકડા મુજબ આજે રાજ્યના 34 તાલુકામાં 1 ઈંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. સુત્રાપાડા ઉપરાંત રાજકોટના ધોરાજીમાં ભારે વરસાદ પડ્યો, સાડા 11 ઈંચ વરસાદ નોંધાયો છે. જયારે ગીર સોમનાથના કોડીનારમાં 7.4 ઈંચ, જામકંડોરણામાં પોણા 7 ઈંચ, ગીર સોમનાથના વેરાવળમાં 5.3 ઈંચ, રાજકોટના ઉપલેટામાં સાડા 4 ઈંચ, જૂનાગઢના મેંદરડામાં 4.2 ઈંચ, ગીર સોમનાથના તાલાલામાં 4.1 ઈંચ તેમજ સુરત શહેરમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે.
નોંધનીય છે કે સાંજે 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધીના આંકડા પર એક નજર નાંખીએ તો કુલ 68 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી સૌથી વધુ પોણા 6 ઈંચ વરસાદ રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં નોંધાયો છે. આ ઉપરાંત ગીર સોમનાથના સુત્રાપાડામાં 123 મિમી, રાજકોટના ધોરાજીમાં 53 મિમી, સુરેન્દ્રનગરના દસાડામાં 49 મિમી અને રાજકોટના ઉપલેટામાં 38 મિમી વરસાદ નોંધાયો છે