અમદાવાદમાં મૂશળધાર વરસાદ પડતા શહેરમાં ચોરો તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.રવિવારે સાંજે અતિ ભારે વરસાદ પડવાથી લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે.અમદાવાદ સહિત રાજ્યમાં ભારે વરસાદ પડ્યો હતો અને આગામી બે દિવસમાં પણ ભારે વરસાદની આગાહી છે.વરસાદના લીધે જનજીવન ખોરવાઇ ગયું છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં રવિવારે સાંજથી સોમવારે એટલે આજે સવારે ચાર વાગ્યા સુધીમાં પાલડી, વાસણા, એલિસબ્રિજ વિસ્તારમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો છે.જેના લીધે પરિસ્થિતિ વધુ જટિલ બની ગઇ છે,અનેક વિસ્તારોમાં ભારે તારાજીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.રવિવાર સાંજે સાત વાગ્યાથી સોમવારે વહેલી સવારે ચાર વાગ્યા સુધીમાં પાલડી, વાસણા, એલિસબ્રિજ વિસ્તારમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વાડજ, ઇન્કમટેકસ, આશ્રમ રોડમાં 14.62 ઇંચ, બોડકદેવ-વસ્ત્રાપુર વિસ્તારમાં 12.08 ઈંચ વરસાદ પડ્યો છે.
નોંધનીય છે કે શાહીબાગ, ઉસ્માનપુરા અને અખબારનગર અંડરબ્રિજમાં બે ફૂટ પાણી ભરાતા ત્રણેય અંડરબ્રિજ બંધ કરવા પડયા હતા.. મોડી રાતે ફરી વરસાદ શરૂ થતાં લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે. ભારે હાલાકી ભોગવવી પડી છે. અનેક વિસ્તારોમાં ફરી પાણી ભરાયા છે. જોકે, આજે સવારે મકરબા ક્રોસિંગ અંડરપાસ, પરિમલ અંડરપાસ, અખબારનગર અંડરપાસ અને મીઠાખળી અંડરપાસ હજી બંધ છે.
શહેરમાં અતિ ભારે વરસાદના લીધે અનેક ઘરોમાં પાણી ભરાઇ ગયા હતા અને અનેક વિસ્તારમાં વીજળી પણ ગુલ થવાની ફરિયાદ હતી. અનેક લોકોને અતિભારે વરસાદના લીધે નુકશાનનો સામનો કરવો પડ્યો હતો. શહેરમાં સોમવારની વહેલી સવાર સુધી વરસાદ ધીમીધારે વરસતા અનેક વિસ્તારોમાં ભરાયેલા પાણી હજી સવારે સાત વાગે પણ નીકળ્યા નથી. ભારે વરસાદ ખાબકતા વાસણા બેરેજનાં 5 ગેટ ખોલવામાં આવ્યા હતા. બેરેજના 19થી 23 નંબરના ગેટ 3 ફૂટ ખોલવામાં આવ્યા હતા. મૂશળધાર વરસાદ પડવાથી આજે શાળા -કોલેજો પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી ભારે વરસાદની આગીહી કરી છે, શહેર સહિત રાજ્યમાં ભારે વરસાદ પડવાની પુરી સંભાવના છે.