રિપોર્ટર@ અમિત રૂપાપરા, સુરત
સુરત શહેરને બ્રિજ સિટી કહેવામાં આવે છે અને આ બ્રીજ સીટી સુરતમાં ટ્રાફિકની સમસ્યા પણ વધારે છે. તેવામાં સુરતના રીંગરોડના બ્રિજની વાત કરવામાં આવે તો આ બ્રિજ પર તો ખૂબ જ મોટી સંખ્યામાં વાહનોની ચહલપહલ રહે છે. ત્યારે ગુજરાતમાં સૌપ્રથમ વખત એક બ્રિજ પર ટ્રાફિક ચોકી બનાવવામાં આવી છે. સુરતના રીંગરોડ ટેક્સટાઇલ માર્કેટ પરથી પસાર થતા રીંગરોડના બ્રિજ પર ટ્રાફિક જામની પરિસ્થિતિના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો અને તેના જ કારણે રીંગરોડના આ બ્રિજ પર એક ટ્રાફિક ચોકી બનાવવામાં આવી છે.
સુરતના આ રીંગ રોડના બ્રીજ પર કોઈ વાહન બંધ પડે કે પછી નાના મોટી કોઈ પણ સમસ્યા સર્જાય તો ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાતી હતી. આ ટ્રાફિકજામના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હતો અને લોકોને પડતી સમસ્યાને ધ્યાનમાં લઈને રીંગરોડના બ્રિજ પર ટ્રાફિક ચોકી બનાવવામાં આવી છે.
મહત્વની વાત છે કે રીંગ રોડનો જે બ્રિજ છે તે મલ્ટી કનેક્ટિવિટી ધરાવે છે. કારણ કે સ્ટેશનથી અઠવા લાઈન્સ તરફ આવવામાં પણ આ બ્રિજનો ઉપયોગ થાય છે. તો પર્વત પાટીયા એપીએમસી માર્કેટથી પણ આ બ્રિજને કનેક્ટિવિટી આપવામાં આવી છે એટલે આ બ્રિજ પર વાહનોની સંખ્યા વધુ હોય છે અને તેના જ કારણે અવારનવાર ટ્રાફિકજામની સમસ્યાની ફરિયાદો પોલીસને મળી રહી હતી. લોકોની સમસ્યાનું સમાધાન કરવા માટે બ્રિજ પર ટ્રાફિક પોલીસ ચોકી બનાવવાનું નિર્ણય કરવામાં આવ્યો. રોજ પોલીસના બે જવાનો દ્વારા બાઈક પર બ્રિજ પર પેટ્રોલિંગ કરવામાં આવે છે અને ટ્રાફિકનું નિયમન કરવામાં આવે છે.
આ ઉપરાંત પોલીસ દ્વારા ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં લઇ બ્રિજ વચ્ચે જે ડિવાઈડર છે ત્યાં લોખંડની જાળી પણ લગાવવામાં આવી છે. ટ્રાફિકની સમસ્યને ધ્યાનમાં રાખીને બ્રિજની સાઈડમાં જે ભાગ ઉપયોગમાં નથી લેવામાં આવતો તે જગ્યા પર એક નાની એવી કેબિન બનાવવામાં આવી છે અને આ કેબિનમાં પોલીસના બે જવાનો તહેનાત રહેશે અને પોલીસના જવાનો દ્વારા પણ ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે. બ્રિજ પર જો કોઈ વાહન બંધ પડે તો આ વાહનને ધક્કો લગાવવાનું કામ પણ આ પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે. જેથી વાહન બંધ પડવાની સમસ્યાના કારણે અન્ય લોકોને ટ્રાફિકજામનો સામનો ન કરવો પડે.