ભારે વરસાદથી મહારાષ્ટ્ર અને રાજ્યનાં અન્ય ઘણા વિસ્તારોમાં જનજીવનને ભારે અસર પહોંચી છે. સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, ઘણા રસ્તાઓ અને રેલ્વે પરિવહન પણ ખરાબ રીતે પ્રભાવિત થયા છે. ઘણી ટ્રેનો રદ્દ કરવામાં આવી છે, તેટલુ જ નહી વરસાદની અસર હવાઈ ટ્રાફિક પર પણ પડી છે. અહીં ભારે વરસાદને કારણે અનેક ઇન્ડિગો ફ્લાઇટ્સ 8 કલાક સુધી મોડી પડી છે. એરલાઇન્સનું કહેવું છે કે મુશળધાર વરસાદ અને જગ્યા-જગ્યાએ પાણી ભરાવાના કારણે તેનો ગ્રાઉન્ડ સપોર્ટ સ્ટાફ સમયસર એરપોર્ટ પર પહોંચી શક્યો નથી, જેના કારણે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે ઈન્ડિગોનું નિવેદન સામે આવ્યુ છે. જેમા કહેવામાં આવ્યુ છે કે અનેક ફ્લાઇટ્સમાં 8 કલાક સુધી વિલંબ થઇ શકે છે. ઈન્ડિગોની એક ફ્લાઇટ 6E 6097 બપોરે 03:15 વાગ્યે મુંબઈથી દિલ્હી ઉડાન ભરવાની હતી. પરંતુ ફ્લાઇટ 8 કલાકથી અટવાયેલી રહી, જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેમના માટે ખાવા પીવાની કોઈ વ્યવસ્થા નહોતી કરાઈ. દરમિયાન, ઈન્ડિગોએ એક નિવેદન બહાર પાડતાં કહ્યું છે કે, મુંબઈમાં સતત વરસાદને કારણે લગભગ 30 ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે.
સતત વરસાદનાં કારણે થયેલા પૂર જેવી પરિસ્થિતિ અને રસ્તાઓ પર જગ્યા-જગ્યાએ પાણી ભરાયેલા હોવાના અને ટ્રાફિક જામને કારણે અમારા ઘણા ગ્રાઉન્ડ સપોર્ટ સ્ટાફ, ક્રૂ મેમ્બર્સ અને પાઇલટ્સ સમયસર એરપોર્ટ પર પહોંચી શક્યા નથી. અહીંથી ઘણી ફ્લાઇટ્સને રોકી દેવામાં આવી હતી. હાલની પરિસ્થિતિમાં, ઈન્ડિગોએ 5 સપ્ટેમ્બર સુધીમાં મુંબઇ આવવા જતા અને મુસાફરી કરનારા મુસાફરોને તેમના મુસાફરીનો સમય બદલવાની અને થોડીક છૂટ સાથે ટિકિટ રદ્દ કરવાની મંજૂરી આપવાની પણ વાત કહી છે.
મહારાષ્ટ્રનાં શિક્ષણ મંત્રી આશિષ શેલારે જણાવ્યું હતું કે, “ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને, 5 સપ્ટેમ્બરનાં રોજ મુંબઈ, થાણે અને કોંકણ ક્ષેત્રની તમામ શાળાઓ અને જુનિયર કોલેજો માટે રજા જાહેર કરવામાં આવી છે.”
મુંબઇમાં ભારે વરસાદનાં કારણે ટ્રેન સેવાઓને પહેલા જ અસર થઈ છે. કુર્લાથી સાયન વચ્ચેનાં રેલ્વે ટ્રેકમાં પાણી ઘણુ ભરાઇ ગયુ જે હજુ પણ હટ્યુ નથી, જેના કારણે હજી સુધી રેલવે સેવા પુન શરૂ કરવામાં આવી નથી. ટ્રેક ઉપર પાણી ભરાવાના કારણે સીએસએમટીથી વાશી અને સીએસએમટીથી થાણે વિભાગ વચ્ચે ટ્રેન સેવા ચાલી રહી નથી. દરમિયાન, મુંબઇનાં પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરે વરસાદથી પ્રભાવિત લોકોને આશ્રય આપવાની વાત કરી હતી. મંદિર પ્રશાસનનું કહેવું હતુ કે વરસાદને કારણે આસપાસ ફસાયેલા લોકો અહીં તેમની રાત વિતાવી શકે છે. અહીં રોકાનારાઓ માટે રાત્રીભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.