અમદાવાદ
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માતમાં આગ લાગતા 4 વ્યક્તિઓના મોત થયા હતા. અમદાવાદના નારણપુરાના વરદાન ટાવરમાં આવેલી કરિયાણાની દુકાનમાં વહેલી સવારે આગ ભડકી હતી,જેમાં એક જ પરિવારના ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા અને સારવાર દરમિયાન આ ચારેય લોકોએ દમ તોડ્યો હતો.
આ આગ લાગવાની ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી અને તપાસ હાથ ધરી હતી.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે વહેલી સવારે ભડકેલી આ આગ ગેસ લીકેજ અને શોર્ટસર્કિટને કારણે લાગી હતી..
અમદાવાદના નારણપુરા વિસ્તારના વરદાન ટાવરમાં ક્ષેમકારી માતા પ્રોવિઝન સ્ટોર નામની કરિયાણાની દુકાન આવેલી છે.જે દુકાનના આગળના ભાગમાં કરિયાણાનો સામાન વેચવામાં આવે છે.જ્યારે પાછળના ભાગે રસોડું અને રહેવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.સોમવારે રાત્રે એક બાળક,એક મહિલા અને બે પુરુષ દુકાનની અંદર નીન્દ્રાધીન થયા હતા.વહેલી સવારે અચાનક દુકાનમાં આગ ભડકી ઉઠી હતી.દુકાનમાંથી ધુમાડાના ગોટેગોટા નિકળતા હતા.બહુમાળી ઈમારત વરદાન ટાવરમાં રહેતા રહીશો દોડી આવ્યા હતા.
આ ઘટનાની જાણ થતાં ફાયરબ્રીગેડની ટીમ,ફાયર બ્રીગેડના અધિકારીઓ અને નારણપુરા પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.ફાયરબ્રીગેડ ટીમે કલાકો સુધી કામગીરી કરીને આગ પર કાબુ મેળવ્યો હતો.ચોંકાવનારી બાબત એ હતી કે દુકાનની અંદર આગમાં સપડાયેલા ચાર લોકોને બહાર કાઢી સારવાર માટે ખસેડ્યા હતા.ફરજ પરના તબીબે ચારેય જણાંને મ્રુત જાહેર કર્યા હતા.