દેશમાં કોરોના કેસો રોકેટ ગતિથી વધી રહ્યા છે. માર્ચ મહિનામાં કોરોનાએ સ્પીડ પકડી છે. દેશમાં રસીકરણ પણ જોરશોરથી ચાલી રહ્યું છે ત્યારે કેટલાક કિસ્સામાં રસી લીધા પછી પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ અંગે એઇમ્સના ડાયરેક્ટર ડો.ગુલેરિયાએ જવાબ આપ્યો છે.
ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઑફ મેડિકલ સાયન્સિઝ (એઇમ્સ)ના નિર્દેશક રણદીપ ગુલેરિયાએ શનિવારે કહ્યું કે કોવિડ-19ની રસી આઠથી દસ મહિના સુધી સંક્રમણથી સંપૂર્ણ રીતે સુરક્ષા આપવામાં સક્ષમ થઇ શકે છે. તેમણે એમ પણ કહ્યું કે રસીનો કોઇ મોટો દુષ્પ્રભાવ સામે નથી આવ્યો.
ગુલેરિયાએ આઇપીએસ એસોસિએશન તરફથી આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે કોવિડ-19ની રસી 8-10 મહિના કે તેથી વધુ સમય માટે સંપૂર્ણ સુરક્ષા આપી શકે છે. કેસોમાં મોટા ઉછાળાનું કારણ એ છે કે લોકોને લાગે છે કે મહામારી સમાપ્ત થઇ ગઇ છે અને તેઓ કોવિડના બચાવ માટે નિયમોનું પાલન નથી કરી રહ્યા.
એમ્સના ડિરેકટરે કહ્યું, લોકોએ પોતાની માનસિકતા બદલીને હજુ થોડાક વધુ સમય માટે બિન-જરુરી યાત્રાને સ્થગિત કરવી જોઇએ. નીતિ આયોગના સભ્ય વી.કે.પૉલે ક્હ્યું કે સંક્રમણની કડીને રોકવી પડશે અને આના માટે રસી એક સાધન છે. પરંતુ બીજો ઉપાય છે અટકાવ અને તપાસ. લાપરવાહીથી કેસો વધી રહ્યા છે. તેમણે કહ્યું કે જો અમારી પાસે રસીનો પુરવઠો અસીમિત માત્રામાં હોત તો બધા માટે રસીકરણ શરુ કરી દીધું હોત. આ જ કારણ છે કે બધાને રસી નથી લગાવાઇ રહી. વૃદ્ધોએ રસી લેવામાં વિલંબ ન કરવો જોઇએ.