Bhavnagar News: ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં આવેલ નાનીમાળ ગામમાં કૈલાશધામ મંદિર આશ્રમ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsha Sanghvi)ની ઉપસ્થિતિમાં મહાશિવરાત્રીના પાવન પ્રસંગે 12 જયોર્તિલિંગ સહિત 17 મંદિરનો જીર્ણોદ્ધાર સમારોહ યોજાયો હતો.

હર્ષ સંઘવી (Harsha Sanghvi)એ જણાવ્યું કે હવે પાલિતાણામાં જયોર્તિલિંગના દર્શન થશે
આ તકે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsha Sanghvi)એ જણાવ્યું હતું કે પાલીતાણા તાલુકામાં આવેલ નાનીમાળ ગામલોકોએ 12 જયોર્તિલિંગના દર્શન કરવા માટે દૂર જવાની જરૂર નથી. 12 જયોર્તિલિંગના દર્શન કરવાનો લ્હાવો ગામમાં જ મળી રહે છે.

નાયબ મુખ્યમંત્રીએ યુવાનોને ખરાબ આદતોથી દૂર રહેવા અને નશામુક્ત સમાજના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવવા સાથે આગળ વધવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો.
આ તકે આગેવાન મહેશ સવાણી અને મુકેશ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું
પાલીતાણાની તળેટીમાં આવેલું નાનીમાળ ગામ વિવિધ સમાજના લોકો એકતા અને સૌહાર્દથી રહેતું ગામ છે. આશ્રમ પરિસરમાં કુલ 17 મંદિરો આવેલ છે. આ મંદિરો આશરે 25 વર્ષ પહેલા નિર્માણ પામ્યા હતા. સમયાંતરે મંદિરો જર્જરિત થઈ જતા, તેમના જીર્ણોદ્ધાર (નવનિર્માણ)નો વિચાર ૩ વર્ષ પૂર્વે મુકેશ મનજી પટેલ દ્વારા મુકવામાં આવ્યો હતો. આશ્રમમાં 12 શિવાલયોના જીર્ણોદ્ધાર સાથે અન્ય દેવસ્થાનોનું પણ પુનઃનિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે.

12 જ્યોતિલિંગના દર્શન બાદ વૃક્ષારોપણ કર્યું
આ મંદિરોમાં સ્થાપિત દેવતાઓ શ્રી સોમનાથ મહાદેવ, શ્રી મલ્લિકાર્જુન મહાદેવ, શ્રી મહાકાલ મહાદેવ, શ્રી ઓમકારેશ્વર મહાદેવના પૂજા અર્ચના અને દર્શન કરી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsha Sanghvi)એ ધન્યતા અનુભવી હતી તેમજ આગેવાનોએ વૃક્ષારોપણ કર્યું હતું.
નાના મંદિરોની “માળ” રચવાની કલ્પના વ્યક્ત કરી
આશ્રમના સ્થાપક ગુરુ વિજયગીરી બાપુએ નાનીમાળ ગામનું નામ સાર્થક થાય તે માટે નાના મંદિરોની “માળ” રચવાની કલ્પના વ્યક્ત કરી હતી, જે કાર્ય આજે પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે. કૈલાશધામ મંદિર નાનીમાળ ગામના દરેક લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. આશ્રમમાં આજુબાજુના 30 કિલોમીટર વિસ્તારમાંથી ભક્તો દર્શન અને પૂજા અર્ચના કરવા આવે છે. દર વર્ષે મહાશિવરાત્રીના પર્વ પર આશરે 20,000 થી વધુ ભક્તો દર્શન માટે આવે છે.

આ સમારોહમાં અનેક મંત્રીઓએ તમની ઉપસ્થિતિ દર્શાવી
આ તકે કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયા, કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકીનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ધારાસભ્યો સર્વ ગૌતમ ચૌહાણ, હીરા સોલંકી, ભીખા બારૈયા, આગેવાન કેશુ નાકરાણી, દિગ્વિજયસિંહ ગોહિલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો:આધાર-બેંક લિંક ન હોવાથી ગુજરાતના લાખો ખેડૂતોને 2,000 રૂપિયાનું નુકસાન
આ પણ વાંચો:પ્રથમ જ્યોતિલિંગ સોમનાથમાં શિવભક્તો ઉમટી પડ્યા, સવારથી જ ભાવિક ભક્તોની લાંભી કતારો
આ પણ વાંચો:VIDEO : જય કેદારનાથ, બમ બમ ભોલેના ગુંજ સાથે કેદારનાથ ધામના ખુલ્યા કપાટ
