Asaduddin Owaisi Gujarat Visit: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે વધુ રસપ્રદ બન્યો છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના સીધા જંગમાં હવે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM (ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન) એ મોટી એન્ટ્રી કરી છે. ઓવૈસીએ રાજ્યભરમાં 539 ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરીને યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અને અશાંતધારા જેવા સંવેદનશીલ મુદ્દે સરકારને ઘેરી છે.
મનપાથી લઈને ગ્રામ્ય સ્તર સુધી AIMIM ની લડત
અસદુદ્દીન ઓવૈસીએ સ્પષ્ટ કર્યું છે કે તેમની પાર્ટી માત્ર શહેરો પૂરતી સીમિત નહીં રહે. આગામી ચૂંટણીમાં AIMIM ના ઉમેદવારો મહાનગરપાલિકાઓ (મનપા) ના મુખ્ય શહેરોમાં મજબૂત પેનલ સાથે મેદાનમાં ઉતરશે. આ ઉપરાંત, પક્ષ દ્વારા તાલુકા પંચાયતની ૨૯ બેઠકો પર દાવેદારી નોંધાવવામાં આવશે, જ્યારે જિલ્લા પંચાયતની ૪૦ બેઠકો પર પણ પાર્ટીના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરશે.
UCC મુદ્દે કોર્ટમાં જવાની ચીમકી
ઓવૈસીએ ગુજરાત સરકાર દ્વારા લાવવામાં આવેલા UCC (યુનિફોર્મ સિવિલ કોડ) ને મુસ્લિમ વિરોધી ગણાવ્યો છે. તેમણે આક્ષેપ કર્યો કે “લિવ-ઇન રિલેશનશિપ અને લગ્નપ્રથાના નિયમો મુસ્લિમ સમુદાય પર જબરદસ્તી થોપવામાં આવી રહ્યા છે. ઇસ્લામમાં લિવ-ઇનનો કોઈ વિકલ્પ નથી. આ કાયદો ધાર્મિક રીતિ-રિવાજો વિરુદ્ધ છે અને અમે તેને કોર્ટમાં પડકારીશું.”
“નેતાઓ કમિશન ખાય છે” : Asaduddin Owaisi
અશાંતધારા (Disturbed Areas Act) બાબતે પણ ઓવૈસીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે ૧૯૮૬ થી અમલમાં હોવા છતાં ૨૦૨૬ માં પણ આ કાયદામાં કોઈ સ્પષ્ટતા નથી. ઓવૈસીએ ગંભીર આક્ષેપ કર્યો કે અશાંતધારાના નામે મકાનોની લે-વેચમાં સ્થાનિક કાઉન્સિલરો અને નેતાઓ મોટી સોદાબાજી કરે છે અને આ કાયદામાં વારંવાર ફેરફાર કરીને સત્તાનો ખુલ્લેઆમ દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.
