દિલ્લી,
સંસદમાં રજુ કરાયેલા સામાન્ય બજેટ બાદ નવું ઘર અને કાર ખરીદવવાળા લોકો માટે આગામી સમય ચિંતાજનક બને એવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. બેન્કો દ્વારા પોતાનું માર્જિન જાળવવા માટે હોમ લોન અને કાર લોનના નીચા દરનો લાભ ટૂંક સમયમાં પૂરો થાય તેવી શક્યતા છે. બેન્કો આગામી માર્ચ અથવા એપ્રિલ મહિનાથી જ હોમ અને ઓટો લોનના દર વધારો કરવા માટે વિચારી રહી છે.
છેલ્લા કેટલાક મહિનામાં બોન્ડ યીલ્ડ લગભગ ૧૦૦ બેસિસ પોઇન્ટથી વધારે વધી છે. જેથી બેન્કો માટે ડિપોઝિટ સર્ટિફિકેટ ઇશ્યૂ કરવાનું મોંઘું બન્યું છે. સાથે સાથે માર્કેટમાં ઋણ લેવાનું વધુ ને વધુ ખર્ચાળ બનતું જાય છે.
HDFCએ એમસીએલઆરમાં વધાર્યો કર્યો
હાઈ રેટ ધરાવતી કંપનીઓ પણ ફંડ- માટે બેન્કો પાસે દોડી ગઈ હોવાથી રેટ વધારવાનું કામ સરળ થયું છે. બુધવારે એચડીએફસી બેન્કે તેનું માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ આધારિત લેન્ડિંગ રેટ (એમસીએલઆર)માં તમામ સમયગાળા માટે ૧૦ બેસિસ પોઇન્ટનો વધારો કર્યો હતો. તે દર્શાવે છે કે બેન્કોમાં ધિરાણદર વધવાના છે.
એચડીએફસી બેન્ક તેની હરીફ બેન્કો એક્સિસ, કોટક મહિન્દ્રા, ઇન્ડસઇન્ડ અને યસ બેન્કને અનુસરી છે. આ તમામ બેન્કોએ એમસીએલઆર રેટમાં પાંચથી ૧૦ બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે. હાલમાં ૧૦ વર્ષની યીલ્ડ વચ્ચેનો તફાવત લગભગ ૭.૫ ટકા છે અને અત્યારે એસબીઆઇના હોમ લોનના દર ૮.૩ ટકા છે જે ચાર વર્ષથી વધુ ગાળામાં સૌથી નીચે છે.
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ગ્રૂપ ચીફ ઇકોનોમિક એડવાઇસર સૌમ્ય કાંતિ ઘોષે જણાવ્યું હતું કે, આ યીલ્ડથી સરકારના બોરોઇંગ ખર્ચમાં વધારો થશે. તેનાથી એમસીએલઆર રેટમાં વધારો કરવા માટે દબાણ વધશે. ધિરાણકારોએ બલ્ક ડિપોઝિટના રેટ વધારવાનું શરૂ કર્યું ત્યારથી જ અંદાજ મળી ગયો હતો કે વ્યાજદર વધવાના છે.
એસબીઆઇએ તેમાં આગેવાની લીધી હતી અને એક કરોડથી મોટી ડિપોઝિટ માટે એક વર્ષના વ્યાજદર બે ટકા વધારીને ૬.૨૫ ટકા કર્યા હતા. રિઝર્વ બેન્કના ડેટા પ્રમાણે બેન્ક લોન વાર્ષિક ધોરણે ૧૧.૦ ટકા વધી હતી. જે ડિપોઝિટ રેટમાં ૪.૫ ટકાની વૃદ્ધિ કરતાં વધુ હતી.
ડિપોઝિટ અને લોનના રેટ વધી શકે છે.
એચડીએફસી બેન્કના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર પરેશ સુક્તાંકરે ગયા મહિને જ સંકેત આપ્યા હતા કે, વ્યાજના દર વધવાના છે. તેમણે કહ્યું હતું કે, તાજેતરમાં સ્થિતિને ધ્યાનમાં લેતાં સિસ્ટમ લેવલ લોન ગ્રોથ પણ ડિપોઝિટ ગ્રોથ કરતાં વધુ છે. આ જોતા લાગે છે કે રેટમાં અમુક સમય માટે સ્થિરતા આવી શકે અથવા ડિપોઝિટ અને ધિરાણદર બંને વધી શકે છે.
ચાર વર્ષે વધી રહ્યા છે વ્યાજ દર
નિષ્ણાતો કહે છે કે, બેન્કના બેઝ રેટને માર્જિનલ કોસ્ટ ફંડ આધારિત લેન્ડિંગ રેટ સાથે જોડવાની રિઝર્વ બેન્કની તાજેતરની આ હિલચાલ અયોગ્ય સમયે આવી છે. જ્યારે ચાર વર્ષના ગાળા પછી વ્યાજના દર ફરીથી વધી રહ્યા છે. ખાસ કરીને જ્યારે માર્કેટ લીડર એસબીઆઇએ એમસીએલઆર નથી વધાર્યું પરંતુ ગયા મહિને બેઝ રેટમાં ૩૦ બેસિસ પોઇન્ટનો વધારો કર્યો હતો.
