દિલ્લી,
વર્ષ ૨૦૦૮માં થયેલા બાટલા હાઉસ એન્કાઉન્ટર બાદ ફરાર થયેલા આતંકીની ધરપકડ કરવામાં દિલ્લી પોલીસને સફળતા મળી છે. આતંકી સંગઠન ઇન્ડિયન મુજાહીદ્દીનના આરિજ જુનૈદ નામના આતંકવાદીની ૧૦ વર્ષ બાદ ધરપકડ કરવામાં આવી છે. દિલ્લી પોલીસના સ્પેશિયલ સેલની ટીમે મોસ્ટવોન્ટેડ આતંકી આરિજને ભારત-નેપાળ બોર્ડર પરથી ઝડપી પાડ્યો હતો. આ આતંકી પર પોલીસે ૧૫ લાખ રૂપિયાનું ઇનામ પણ ઘોષિત કર્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ મોસ્ટવોન્ટેડ આતંકી બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં સામેલ હતો, આ સમયે તે ફરાર થવામાં સફળ થયો હતો. દિલ્લી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલો આતંકી આરિજ ઉર્ફ જુનૈદ દિલ્લી ઉપરાંત અમદાવાદ, ઉત્તરપ્રદેશ અને જયપુરમાં થયેલા આતંકી હુમલાઓમાં સામેલ હતો. આ કારણે આ આતંકવાદી પર NIAએ ૧૦ લાખ રૂપિયા જયારે દિલ્લી પોલીસે ૫ લાખ રૂપિયાનું ઇનામ ઘોષિત કર્યું હતું.
આતંકી આરિજ ઉર્ફે જુનૈદના તાર આતંકી સંગઠન ઇન્ડિયન મુજાહીદ્દીન તેમજ આતંકવાદી અબ્દુલ સુભાન કુરૈશી સાથે સાથે હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, દિલ્લી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલો આતંકી આરિજ જુનૈદ મૂળ યુપીના આઝમગઢનો રહેનારો છે.
મહત્વનું છે કે, વર્ષ ૨૦૦૮માં દિલ્લીના જામિયા વિસ્તારમાં થયેલા બાટલા એન્કાઉન્ટરમાં બે આતંકવાદી માર્યા ગયા હતા. જેમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલના ઇન્સ્પેક્ટર મોહન લાલ શર્મા શહીદ થઇ ગયા હતા.