અમદાવાદ,
જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે કોઈ વીવીઆઈપી મહેમાનો આવવાના હોય ત્યારે સમગ્ર સિટીને દુલ્હનની જેમ શણગારવામાં આવતું હોય છે અને રસ્તા પણ રાતોરાત નવા બનાવી દેવામાં આવતા હોય છે પરંતુ રાજ્યના હેરિટેજ સીટી એવા અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી શહેરીજનો શહેરના બિસ્માર રસ્તાઓની હાલતથી હેરાન પરેશાન થઇ ચુક્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સમક્ષ આ રસ્તાઓ અંગે વિવિધ વિસ્તારના લોકો દ્વારા વાંરવાર રજુઆતો કરવામાં આવી રહી છે, પરંતુ જાણે તેઓ ઘોર નિદ્રામાં જણાઈ રહ્યા છે ત્યારે આ અધિકારીઓને નિદ્રામાંથી જગાડવા માટે વિરોધની એક નવી તરકીબ આપનાવી હતી.
શેહરના ગોતા વિસ્તારના સ્થાનિક લોકોએ વિરોધ દર્શાવવા રસ્તાઓ મરી પરવાર્યા હોવાનું જણાવી તેમના બેસણાંનો કાર્યક્રમ રાખ્યો હતો. સ્થાનિકોના આ અનોખા વિરોધને ચોમેરથી પ્રતિસાદ સાંપડ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલા, યુવકો અને બાળકો સહિત સ્થાનિક લોકો જોડાયા હતા. ચોમાસાને ખાસ્સો સમય વીતી ચૂક્યો હોવા છતાં રસ્તાઓ બરાબર રીસરફેસ ન થતાં હોવાથી લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
ગોતામાં સ્થાનિકોએ બેસણું કરી લોકોએ સફેદ કપડાં પહેરી વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈને રામધૂન બોલાવી હતી. આ રીતે તંત્રના બહેરા કાન સુધી પોતાનો અવાજ પહોંચાડવાની લોકોએ કોશિશ કરી હતી. અમદાવાદના ગોતા વિસ્તારના લોકોએ ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ અને અધિકારીઓ પાસે પણ રજૂઆતો કરી હતી.
મહત્વનું છે કે, ગુજરાત હાઈકોર્ટે દ્વારા પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને શહેરના રસ્તાઓની બિસ્માર હાલત અંગે આડેહાથે લીધા હતા પરંતુ આ નીદ્રહીન તંત્રને કઈં અસર થતી નથી તે પુરવાર થઈ રહ્યું છે. ગોતા વિસ્તારમાં જ્યાં ત્રીસથી વધું સોસાયટીઓ જોડેયેલી છે તે રસ્તાઓની બિસ્માર હાલત પણ દિવસે-દિવસેને બિસ્માર થતી જાય છે પરંતુ સ્થાનિક કોર્પોરેટર અને ધારાસભ્ય પણ કોઈ રસ દાખવતા ન હોય, લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.