નવી દિલ્હી,
દેશના સામાન્ય વર્ગના લોકોથી લઇ ઉચ્ચ વર્ગના તમામ લોકો માટે બેન્કિંગ સેક્ટરનું ઘણું મહત્વ છે. ત્યારે તમને બેંક સાથે જોડાયેલુ કોઈ કામ આ મહિનાના અંત સુધીમાં જ જો સમાપ્ત કરવું જરૂરી છે તો આ કામને આવતી કાલ સુધીમાં નિપટાવવું ખુબ જ અગત્યનું છે.
કારણ કે, 30 અને ૩૧ મેના રોજ સરકારી બેંકો બંધ હોઈ શકે છે, જેથી તમને કોઈ સમસ્યા થઇ શકે છે.
હકીકતમાં, સરકારી બેન્કોના અધિકારીઓ 30 મેથી બે દિવસની દેશવ્યાપી હડતાળ કરવાની ઘોષણા કરી ચુક્યા છે. બેન્કોના અધિકારીઓ પોતાના વેતનમાં વધારો કરવાના પ્રસ્તાવના વિરોધમાં આ હડતાળ કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બેંક યુનિયનના જણાવ્યા અનુસાર, ઇન્ડિયન બેંક એસોસિએશન (IBA)ના વેતનમાં 2 ટકાનો વધારો કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે. 5 મેના રોજ લાવવામાં આવેલા પ્રસ્તાવમાં ૩૧ માર્ચ, ૨૦૧૭ સુધી વેજ બિલ કોસ્ટમાં 2 ટકાનો વધારો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ બેંક યુનિયનો આ જ પ્રસ્તાવનો વિરોધ કરી રહ્યા છે.
બીજી બાજુ પ્રાઈવેટ સેકટરની બેન્કોમાં આ દેશવ્યાપી હડતાળનો કોઈ ફરફ પડશે નહીં, કારણ કે આ હડતાળમાં માત્ર સરકારી બેન્કોના અધિકારીઓ જ જોડાવાના છે.
યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન (UFBU)માં બેંક કર્મચારીઓના નવ યુનિયન શામેલ છે. આ યુનિયનમાં ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ કો-ફેડરેશન (AIBOC), ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન (AIBEA) અને નેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ બેંક વર્કસ (NOBW) સહિતના અન્ય યુનિયનો પણ શામેલ થયા છે.