નવી દિલ્હી,
સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત નિક્કી હેલી ત્રણ દિવસની ભારત યાત્રા પર છે. અહી તેઓ રણનીતિક સંબંધો અને વૈશ્વિક વિકાસ સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરશે. ગઈકાલે એમણે પ્રધાનમંત્રી મોદી અને વિદેશ મંત્રી સુષમા સ્વરાજ સાથે મુલાકાત કરી હતી. આજે એમણે ચર્ચ, ગુરુદ્વારા, મસ્જીદ અને મંદિરની મુલાકાત લીધી હતી. તેમજ ઓબ્ઝર્વર રીસર્ચ ફાઉન્ડેશનના એક કાર્યક્રમમાં નિક્કીએ ભાગ લીધો હતો. જેમાં એમણે ભારત અમેરિકાના સંબંધો અને આતંકવાદ વિરુદ્ધ ખુલીને વાત કરી હતી.
નિક્કીએ જણાવ્યું કે પાકિસ્તાનનું આતંકીઓ માટે શરણસ્થળ બનવું સહન કરવામાં નહિ આવે. અમેરિકાએ આ માટે પાકિસ્તાનને પહેલા જ સંદેશ આપી દીધો છે. પાકિસ્તાન આતંકી સંગઠનો માટે સ્વર્ગ બની ગયું છે. જેનો સ્વીકાર કરી શકાય એમ નથી. જે લોકો આતંકીઓને આશ્રય આપે છે એવા દેશોથી આંખ ફેરવી શકાતી નથી.
સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂતે આગળ જણાવ્યું કે ધર્મની સ્વતંત્રતા ખુબ મહત્વપૂર્ણ છે. ભારત અને અમેરિકાએ આતંકવાદ સામેની લડાઈમાં વૈશ્વિક નેતા બનવું જોઈએ. ચીન વિશે વાત કરતા નિક્કીએ કહ્યું કે ચીન મહત્વપૂર્ણ છે. ચીન અમારા માટે તેમજ અન્ય કેટલાક દેશો માટે ચિંતાજનક છે કારણ કે એનું લોકતાંત્રિક મુલ્યો સાથે કોઈ સંબંધ નથી.
હેલીએ આગળ કહ્યું કે અમેરિકા એનએસજીમાં ભારતની સદસ્યતાનું સમર્થન કરે છે. કારણ કે ભારત એક એવો પરમાણું સંપન્ન દેશ છે જેનું ઘણું સમ્માન છે. શાંગ્રી-લા ડાયલોગમાં પ્રધાનમંત્રી મોદીના નીવેદનનો ઉલ્લેખ કરતા એમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ એમની દ્રષ્ટિમાં વિશ્વાસ રાખે છે.
આ ઉપરાંત બુધવારે દિલ્હીમાં નિક્કીએ નોબલ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થી સાથે મુલાકાત કરી હતી. અને બાળ–તસ્કરી ખતમ કરવાના વિવિધ રસ્તાઓ પર ચર્ચા કરી હતી.