શ્રીનગર,
જમ્મુ-કાશ્મીરમાં રાઈઝિંગ કાશ્મીર નામના વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારીની ગત તા. ૧૪ જૂનના રોજ થયેલી હત્યાના મામલે એક મહત્વનો ખુલાસો સામે આવ્યો છે. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, આ હત્યાકાંડનું કાવતરું પાકિસ્તાનમાં રચવામાં આવ્યું હતું.
જમ્મુ-કાશ્મીર પોલીસના IGP એસ પી પાનીના જણવ્યા અનુસાર, પત્રકાર શુજાત બુખારીની હત્યાને આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓએ અંજામ આપ્યો હતો. જો કે આ મામલે પોલીસ દ્વારા ગુરુવારે આ હત્યાના આરોપીઓના સ્કેચ પણ જાહેર કરાયા છે.
J & Kના IGPએ જણાવ્યું કે, આ વરિષ્ટ પત્રકારની હત્યાના ચાર આરોપીઓનો માસ્ટર માઇન્ડ સજ્જાદ ગુલ શ્રીનગરનો રહેવાસી છે પરંતુ તે હાલમાં પાકિસ્તાનમાં છે. સજ્જાદ ગુલની આ પહેલા દિલ્હી અને શ્રીનગરમાં આતંકવાદી પ્રવૃતિઓમાં પણ ધરપકડ થઈ હતી. જો કે ત્યારબાદ તે ૨૦૧૭માં પાકિસ્તાન ભાગી ગયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, બુધવારે જ પોલીસ દ્વારા પત્રકાર શુજાત બુખારીના હત્યારાઓની ઓળખ કરી લેવામાં આવી હતી. આ ત્રણ હત્યારાઓ પૈકીના બે દક્ષિણ કાશ્મીરના છે અને એક પાકિસ્તાની નાગરિક હોવાનું કહેવામાં આવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ આ હુમલામાં નાવિદ જટ્ટનો પણ સમાવેશ થયેલો છે, જે ગત દિવસોમાં શ્રીનગરની હોસ્પિટલમાંથી નાસી છૂટ્યો હતો. નાવિદ જટ્ટ પાકિસ્તાનનો રહેવાસી છે અને તે લશ્કરની સાથે જોડાયેલો છે.
૧૪ જૂનના રોજ થઇ હતી પત્રકાર શુજાત બુખારીની હત્યા
મહત્વનું છે કે, ઈદના પવિત્ર પર્વના એક દિવસ અગાઉ એટલે કે ૧૪ જૂનના રોજ વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારી શ્રીનગરના લાલ ચોક વિસ્તારમાં આવેલા પોતાના અખબારની ઓફિસથી એક ઇફતાર પાર્ટીમાં જવા નીકળ્યા હતા, ત્યારે તેમની ઓફિસથી થોડે દૂર જ બાઈક પર આવેલા હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કરીને શુજાત બુખારીની હત્યા કરીને નાસી છૂટ્યા હતા. આ હુમલામાં શુજાત બુખારીના બે સુરક્ષાકર્મીઓ પણ માર્યા ગયા હતા.