નવી દિલ્હી,
ઇંગ્લેન્ડ સામે રમાયેલી ત્રણ ટી-૨૦ સીરીઝ ૨-૧થી જીત્યા બાદ ભારતીય ટીમ યજમાન ટીમ ઈંગ્લેંડ સામે વન-ડે શ્રેણી રમશે. ઈંગ્લેંડ સામે રમાનારી ૩ મેચની વન – ડે સીરીઝ ગુરુવારથી શરૂ થઇ રહી છે, ત્યારે આ શ્રેણીમાં પણ ટીમ ઇન્ડિયા જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
બીજી બાજુ ૨૦૧૯માં ઈંગ્લેંડમાં રમનારા વિશ્વ કપ માટે આ શ્રેણીને વર્લ્ડકપ પહેલાની પૂર્વ તૈયારી માટેનું રિહર્સલ માનવામાં આવી રહ્યું છે, કારણ કે આ સીરીઝમાં ભારતીય ટીમને અહીયાની સ્થિતિ સાથે તાલમેલ મેળવવા માટે ઘણો સારો મોકો મળી શકે છે.
ટી-૨૦ સીરીઝમાં ભારતીય ક્રિકેટર કે એલ રાહુલના શાનદાર પરફોર્મન્સ બાદ હવે એમને ત્રીજા નંબરે બેટિંગ માટે મેદાનમાં ઉતારવામાં આવશે અને કેપ્ટન વિરાટ કોહલી જે પહેલા આ નંબરે રમતા હતા એ હવે કે એલ રાહુલ બાદ ચોથા નંબરે મેદાનમાં ઉતરશે. શિખર ધવન અને રોહિત શર્મા શરૂઆતમાં બેટિંગ કરશે. ત્યારબાદ સુરેશ રૈના, મહેન્દ્રસિંહ ધોની મેદાનમાં ઉતરશે.
ત્યારે કેપ્ટન વિરાટ કોહલીના ચોથા ક્રમને લઇ માનવામાં આવી રહ્યું છે કે, ૨૦૧૯ના વર્લ્ડકપ પહેલાનું આ રિહર્સલ હોઈ શકે છે.
ગુરુવારથી ભારતીય ટીમ વન-ડે રેન્કિંગની પહેલા નંબરની ટીમ ઇંગ્લેન્ડ સાથે ટક્કર લેવાની છે અને જો આ સીરીઝ ભારત જીતી જાય તો ભારત પહેલા નંબરની ક્રિકેટ ટીમ બની જશે.
મહત્વનું છે કે, વિશ્વ કપ ૨૦૧૫માં નિરાશાજનક પ્રદર્શન બાદ ઇંગ્લેન્ડ કુલ ૬૯ વનડે મેચ માંથી ૪૬ મેચ જીત્યું છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ પણ મજબુત છે. જોસ બટલર, જેસન રોય, એલેક્સ હેલ્સ અને ઇયોન મોર્ગન પણ શાનદાર ફોર્મમાં છે અને બેન સ્ટોક્સ આ ટીમનો મજબુત આધાર છે, જેથી બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જામવાની ટક્કર છે.