જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા મેજર કૌસ્તુભ પ્રકાશ કુમાર રાણેના અંતિમ સંસ્કાર ગુરુવારે કરવામાં આવશે. આ દરમિયાન મુંબઈની સડકો પર ખુબ ભાવુક નજારો મળ્યો. અહીં જે માર્ગ પરથી શહિદની અંતિમ યાત્રા નીકળશે ત્યાં લોકો ફૂલ બિછાવીને સ્થાનિક મેજર કૌસ્તુભને અંતિમ સલામ આપી રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરના બાંદીપોરના ગુરેઝ સેક્ટરમાં 7 ઓગસ્ટે થયેલી આતંકીઓ સાથેની મુઠભેડમાં ચાર જવાન પણ શહીદ થયા હતા. આ મુઠભેડમાં સ્વતંત્રતા દિવસ પર કોઈ મોટી સાજિશને અંજામ આપવા માટે પાકિસ્તાનથી ઘુસપેઠ કરી રહેલા બે આતંકીઓને પણ ઢેર કર્યા હતા.
શહીદ થયેલા જવાનોમાં મેજર કૌસ્તુભ પણ સામેલ હતા. મુંબઈ નિવાસી કૌસ્તુભનું આ વર્ષે જ પ્રમોશન થયું હતું. તેઓ કેપ્ટનમાંથી મેજર બન્યા હતા. એમને શ્રદ્ધાંજલિ આપવા માટે મુંબઈના મીરા રોડ પર સ્થાનિક લોકોએ પીળા ફૂલ બિછાવ્યા હતા. આ રસ્તા પરથી જ થોડી વારમાં એમની અંતિમ યાત્રા પસાર થશે.
29 વર્ષીય કૌસ્તુભ પ્રકાશ રાણેની શહીદીની ખબરથી મીરા રોડના નિવાસીઓમાં માતમ ફેલાઈ ગયું છે. શીતલ નગરમાં એમના ઘરે શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. દુઃખની આ ઘડીમાં પણ મેજર કૌસ્તુભના પિતા પ્રકાશ રાણેએ કહ્યું કે મારો પુત્ર દેશને કામ આવ્યો છે. તે બહાદુરી દેખાડીને શહીદ થયો છે.
ઉત્તર કાશ્મીરના ગુરેઝ સેક્ટરમાં આતંકીઓ સામે લડતા કૌસ્તુભ સાથે ત્રણ સિપાહી મનદીપ સિંહ રાવત, હમીર સિંહ અને વિક્રમ જીત પણ શહીદ થયા હતા. શહીદ જવાનોને બુધવારે સેના દ્વારા શ્રદ્ધાંજલી અપાયા બાદ એમના શબોને પૈતૃક ગામમાં મોકલવામાં આવ્યા હતા. ગુરુવારે બધાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.