નવી દિલ્હી,
દેશની કોઈ પણ સાર્વજનિક કે પ્રાઈવેટ બેન્કોના ATM મશીનમાં રૂપિયા જમા કરાવવા અંગે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલય દ્વારા ATM મશીનમાં કેશ જમા કરાવવા અંગેના આ નિયમો જાહેર કરાયા છે.
ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો મુજબ, હવે શહેરોમાં કોઈ પણ બેન્કના ATMમાં રાત્રે ૯ વાગ્યા પછી અને ગ્રામીણ વિસ્તારોમાં સાંજે ૬ વાગ્યા પછી કેશ જમા કરાવી શકાશે નહિ.
૮ ફેબ્રુઆરી, ૨૦૧૯થી કરાશે આ નિયમ લાગુ
ગૃહ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ નિયમનો સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર (SOP)ને ૮ ફેબ્રુઆરી, ૨૦૧૯થી લાગુ કરવામાં આવશે.
કેશમાં લઇ જનારા વાહન સાથે હવે બે હથિયારધારી ગાર્ડ હશે. દેશના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં સાંજે ૪ વાગ્યા સુધી જ ATMમાં કેશ જમા કરાવી શકાશે. જ્યારે કેશ રૂપિયાની દેખરેખ રાખનારી એજન્સીઓ પણ બેંકોના નક્કી સમય પહેલા જ કેશનો સંગ્રહ કરશે. તેઓ પણ આ નોટોનું પરિવહન માત્ર હથિયારધારી વાહનોમાં જ કરી શકશે.
આ કારણે ભરવામાં આવ્યું પગલું
કેશ વેન, કેશ વોલેટ અને બેન્કોના ATM મશીનોમાં થતી છેતરપિંડી તેમજ અન્ય આંતરિક ફ્રોડના મામલો વધવાના કારણે ગૃહ મંત્રાલય આ પગલું ઉઠાવવામાં આવી રહ્યું છે.
મહત્વનું છે કે, દેશમાં હાલમાં પ્રાઇવેટ સેક્ટરની અંદાજે ૮,૦૦૦ કેશ વાન પરિવહન કરી રહી છે. અ કેશ વાનો દ્વારા દરરોજ અંદાજે ૧૫,૦૦૦ કરોડ રૂપિયાના કેશનું પરિવહન કરવામાં આવે છે. આ ઉપરાંત કેટલીક પ્રાઈવેટ એજન્સીઓ રાતભર કેશ પોતાના કેશ વોલ્ટમાં રાખતી હોય છે.
કેશ વાન અને નવા વ્યક્તિની નિમણુંક માટે હશે આ નિયમો
ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા નિયમોમાં જણાવવામાં આવ્યું છે કે, દરેક કેશ વનમાં એક ડ્રાઈવર ઉપરાંત બે સુરક્ષા ગાર્ડ, બે ATM અધિકારી રાખવા જરૂરી છે. એક હથિયારબંધ ગાર્ડ ડ્રાઈવરની સાથે આગળની સીટ પર રહેશે, જયારે બીજો ગાર્ડ પાછલી સીટ પર બેસશે.
આ ઉપરાંત કોઈ પણ સુરક્ષા એજન્સી કેશના પરિવહન માટે કોઈ પણ વ્યક્તિની નિયુક્તિ તમામ પોલીસ તપાસ, તેઓના ઘરના એડ્રેસ વેરિફિકેશન, જુના નોકરિયાત તરીકેની તે વ્યક્તિ અંગેની પૂછતાછ અને તેઓનું બેકગ્રાઉન્ડની જાણકારી વિના કરી શકશે નહિ.