આજે જન્માષ્ટમીની ઉજવણી સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવાઇ રહી છે. દેશભરમાં વ્હાલાના વધામણા કરવા માટે ઉત્સુક ભકતોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. કૃષ્ણ ભક્તિમાં તલ્લીન ભકતોએ દ્વારકાના દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
દ્વારકાના મંદિરમાં સવારે છ વાગ્યે શ્રીજીની મંગળા આરતી કરવામાં આવી હતી ત્યાર બાદ ભકતોએ આઠ વાગ્યા સુધી શ્રીજીના દર્શનનો લહાવો લીધો હતો અને 10 વાગ્યે ભગવાન સ્નાન અને શ્રૃંગાર ભોગ ચઢાવવામાં આવશે અને 11 વાગ્યે શ્રૃંગાર આરતી કરાશે.
અરવલ્લીના મેશ્વો નદીના કિનારે આવેલા શામળાજી મંદિરમાં જન્માષ્ટીના કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટીના દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. જન્માષ્ટી પર્વ નિમીતે શામળાજી મંદિરને અદભૂત રીતે શણગારવામાં આવ્યા છે.
શામળાજીમાં વહેલી સવારે મંગળા આરતીમાં પણ ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. શામળાજીના નાથની મંગળા આરતી પછી પંચામૃતથી સ્નાન કરાવામાં આવ્યું હતું. ગઈકાલ રાતથી જ મંદિરમાં ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડી છે અને ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે.
અમદાવાદનાં ઈસ્કોન મંદિર ખાતે ભગવાનનાં દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર વહેલી સવારથી જ ઉમટી પડ્યુ હતું અને કાનુડાનો જય જયકાર બોલાવી હતી. કૃષ્ણના ઘેલા બનેલા આ ભક્તોએ ભગવાનનાં દર્શન કરવા તેમના દ્વાર ખૂલે તે પહેલા જ મંદિરનાં દ્વારે તેમની આતુરતાપૂર્વક રાહ જોઈ હતી.
પોરબંદરના જન્માષ્ટમીના લોકમેળાને આજે ખુલ્લો મુકવામા આવ્યો છે. પોરબંદરના દરિયા કિનારે વિશાળ ચોપાટી ગ્રાઉન્ડ પર જિલ્લા વહીવટી તંત્રની આગેવાનીમાં પોરબંદર નગરપાલિકા દ્વારા 6 દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદરના ધારાસભ્ય બાબુ બોખીરીયા દ્વારા રીબીન કાપીને વિધીવત રીતે લોકમેળાને શહેરીજનો માટે ખુલ્લો મુક્યો હતો.
દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવધ રાઈડ્સો, રમકડા અને ખાણી-પીણીના સ્ટોલ સહિત મનોરંજનના અનેક સાધનો સાથે લાખો લોકો મેળાની મોજ માણશે. તો મેળામાં આવતા લોકોની સુરક્ષાને ધ્યાને લઈને સીસીટીવી કેમેરા વડે મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સહીતના અધિકારીઓ તેમજ ભાજપના આગેવાનો પણ હાજર રહ્યા હતા.