અમદાવાદ,
હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસને 19મો દિવસ છે ત્યારે ધાર્મિક સંસ્થાઓના આગેવાનો દ્વારા હાર્દિક પટેલના પારણાં કરવામાં પ્રયત્નો હાથ ધરવામાં આવ્યો હતો. જે અંગે બેઠક યોજી હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને લઈને મહત્વનો નિર્ણય લેવાઈ લેવાયો છે.
ધાર્મિક સંસ્થાઓના આગેવાનો દ્વારા સરકાર સાથે બેઠક યોજી હાર્દિક પટેલના પારણાં અંગે નિર્ણય લેવાયો છે. પાસ કન્વીનર મનોજ પનારાએ આ અંગેની જાહેરાત કરી હતી કે ખોડલધામના નરેશ પટેલ અને ઉમાધામના પ્રહલાદ પટેલ ત્રણ વાગ્યા હાર્દિક પટેલને પારણાં કરાવશે. હાર્દિક પટેલ આજે બપોરે ત્રણ વાગે પારણાં કરી લેશે.
મંગળવારે સંસ્થાઓના પ્રતિનિધિઓ હાર્દિકને મળ્યા હતા. તેમણે હાર્દિક પટેલને પારણાં કરવા માટે સમજાવ્યો હતો. સમાજના તમામ આગેવાનો સાથે ચર્ચા કર્યા બાદ હાર્દિકને મળવા આવેલા વડીલોએ હાર્દિકને પારણાં કરી લેવા વિનંતી કરી હતી.
વડીલોએ એવી લાગણી વ્યક્ત કરી હતી કે સમાજના દરેક લોકોની ઈચ્છા છે કે હાર્દિકને પારણાં કરી લેવા માટે સમજાવવામાં આવે. હાર્દિકે તેમની પાસે બુધવાર સુધીનો સમય માંગ્યો હતો.
આ દરમિયાન ગુજરાતભરના પાસના કન્વીનરોનો અમે સંપર્ક સાધ્યો હતો. તમામ કન્વીનરોએ એવી લાગણી વ્યક્ત કરી હતી કે હાર્દિક પટેલ જીવતો રહેવો જોઈએ. આ માટે તમામે હાર્દિક પારણાં કરી લે તેવો મત વ્યક્ત કર્યો હતો. હાર્દિક જીવતો અને તંદુરસ્ત રહેશે તો સરકાર સામે લડી શકશે.