બળાત્કાર કેસમાં જેલની સજા ભોગવી રહેલ આસારામે પોતાની આજીવન કારાવાસની સજા ઓછી કરવાની માંગને લઈને રાજસ્થાનના રાજ્યપાલ સમક્ષ એક દયા અરજી દાખલ કરી છે. આસારામને એક સગીરવયની યુવતિ સાથે દુષ્કર્મના આરોપમાં સજા ફટકારવામાં આવેલ છે.
૨૫ એપ્રિલે જાધપુર કોર્ટે આસારામને આજીવન કારાવાસની સજા સંભળાવી હતી. પોતાની સજાને પડકારતા આસારામે ૨ જુલાઈના રોજ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. જોકે હાલમાં તેની અરજી પર સુનાવણી કરવામાં આવી નથી.
રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણસિંહને આસારામ તરફથી જે દયા અરજી કરવામાં આવી છે, તેને રાજ્યપાલે ગૃહ વિભાગને મોકલી આપી છે અને વિગતવાર રીપોર્ટ મંગાવ્યો છે. રાજ્યપાલ કલ્યાણસિંહને કરેલી પોતાની દયા અરજીમાં આસારામે આજીવન કારાવાસને કઠોર દંડ ગણાવ્યો છે અને તેની સજા ઓછી કરવા માંગ કરી છે.
સાથે જ પોતાની અરજીમાં આસારામે તેની વધતી ઉંમરને ધ્યાનમાં રાખવા પણ જણાવ્યુ છે. આપને જણાવી દઈએ કે ૧૬ વર્ષની પીડિતાએ તેની ફરીયાદમાં જણાવ્યુ હતું કે, આસારામે તેણીને ૫ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ જાધપુરના મનાઈ વિસ્તારના પોતાના આશ્રમમાં બોલાવી અને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. પીડિતા આસારામના મધ્યપ્રદેશના છિંદવાડા સ્થિત આશ્રમમાં અભ્યાસ કરતી હતી.