દિલ્હી
ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને તેલંગાણામાં પોલિયોના ખોરાકના કેટલાક બેચમાં સંક્રમણ મળી આવ્યાના અહેવાલ વચ્ચે કેન્દ્ર સરકારે દેશભરના વાલીઓને અનુરોધ કર્યો છે કે તે પોતાના બાળકોને પોલિયોની દવા જરુર પીવડાવો. નિવેદનમાં જણાવ્યા મુજબ, સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવુ છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ)ની સાથે મળીને સરકારે એ સુનિશ્ચિત કરવા માટે પગલુ ભર્યુ છે કે બાળકોને આપવામાં આવતા તમામ રસી સુરક્ષિત અને પ્રભાવી હોય.
ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને તેલંગાણામાં પોલિયોની ખોરાકના કેટલાક બેચમાં પોલિયો વિષાણુ ટાઈપ-2નું સંક્રમણ મળ્યા બાદ ઉભી થયેલ ચિંતાઓ વચ્ચે આ નિવેદન જાહેર કરવામાં આવ્યુ છે. મહત્વનુ છે કે પોલિયો વિષાણુ ટાઈપ 2 આખી દુનિયામાંથી સમાપ્ત થઈ ચુક્યો છે.
નિવેદનમાં જણાવાયુ છે, કે જે ઉત્પાદનની દવામાં સંક્રમણ મળ્યુ હતું, તેની દવાનો પ્રયોગ બંધ કરી દેવામાં આવ્યો છે અને તેણે તમામ સ્ટોક પરત ખેંચી લીધો છે. નિવેદનમાં જણાવાયુ છે કે, અન્ય નિર્માતા પણ છે જે પોલિયોની ખોરાક ઉપલબ્ધ કરાવે છે. અન્ય નિર્માતાઓની દવાઓનું પરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે અને પુષ્ટી કરવામાં આવી છે કે આ તમામ માપદંડો પર ખરા સાબિત થયા છે.
મહત્વનુ છે કે, દિલ્હીની નજીક ગાઝિયાબાદ સ્થિત મેડિકલ કંપની બાયોમેડ દ્વારા બનાવવામાં આવેલ ઓરલ પોલિયો વેક્સીનમાં ટાઈપ-2 પોલિયોનો વાયરલ મળી આવ્યો હતો. દેશને પોલિયોમુક્ત જાહેર કરાયા બાદથી વર્ષમાં માત્ર 4 વખત જ મોપ-અપ રાઉન્ડ ચલાવવામાં આવે છે. ચાલુ વર્ષે જાન્યુઆરી, માર્ચ અને ઓગસ્ટમાં 3 મોપ-અપ રાઉન્ડ થઈ ચુક્યા છે. હવે નવેમ્બરના અંતમાં અંતિમ રાઉન્ડ થશે.