રાપર,
રાપર તાલુકાના જાટાવાડ ગામે રહેતા યુવાને છ દિવસ પહેલા નર્મદા કેનાલમાં ઝંપલાવી દીધું હતું. એનડીઆરએફ સહિતની વિવિધ ટીમોએ યુવકને શોધવા માટે રેસ્ક્યુ હાથ ધર્યું હતું.
ભારે જહેમત બાદ છઠ્ઠા દિવસે સુવઈ ડેમમાંથી હતભાગીનો મૃતદેહ મળી આવતા પરિવારજનો તેમજ મિત્રવર્તુળમાં ગમગીની સાથે શોકનુ મોજુ ફરી વળ્યું હતું. જાટાવાડ ગામે રહેતા 20 વર્ષિય મુકેશ માવજીભાઈ કોલીએ 30મી સપ્ટેમ્બરે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં સેલારીથી ગેડી તરફ જતી નર્મદા કેનાલમાં કોઈ ગૃહ કંકાસના કારણે જંપલાવી દીધું હતું.
પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. પરંતુ ક્યાંયથી અતોપતો ન મળતા આખરે સ્થાનિક પોલીસ અને એનડીઆરએફ દ્વારા છેલ્લા પાંચ દિવસથી રેસક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
સેલારીથી 35 કિલોમીટર દૂર આવેલા સુવઈ ડેમમાંથી હતભાગીનો કોહવાઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. રાપર સરકારી હોસ્પિટલમાં લાશનું પીએમ કરાવ્યા બાદ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.
પોલીસે હાલ તો અકસ્માત મોતનો બનાવ ગણીને કરીને તપાસ હાથ ધરી છે. હતભાગીએ ગૃહ કંકાસના કારણે કેનાલમાં પાણીમાં જંપલાવી આત્મહત્યા કરી લીધી હોવાનું સપાટી પર આવ્યું છે.