સબરીમાલા મંદિરમાં મહિલાઓ પર પ્રતિબંધ હટાવાયા બાદ આખા દેશમાં ઘમાસાણ મચેલું છે. સુપ્રીમ કોર્ટના આ આદેશનું કેટલાક લોકો સમર્થન કરી રહ્યા છે, તો કેટલીક જગ્યાઓ પર આ આદેશ વિરુદ્ધ પ્રદર્શન થઇ રહ્યા છે.
મંગળવારે કેરળમાં એક મહિલાએ ખુલ્લેઆમ ખુદને ફાંસી પર લટકાવવાનો પ્રયાસ કર્યો હતો, જોકે લોકોએ તેણીને બચાવી લીધી હતી. સબરીમાલા મંદિર મામલે એક મહિલા સોમવારે એક ઝાડ પર ચડી ગઈ હતી. તેણી આત્મહત્યા કરે, એ પહેલા જ લોકોએ તેને નીચે ઉતારી લીધી હતી. ખુબ પ્રયાસો બાદ મહિલાને કાબુમાં કરી શકાય હતી.
મહિલાએ કહ્યું કે, તેણી સુપ્રીમ કોર્ટના આદેશનો વિરોધ કરે છે. સુપ્રીમ કોર્ટે દરેક ઉંમરની મહિલાઓને મંદિરમાં પ્રવેશ કરવાની અનુમતિ આપી છે, જે એમની ધાર્મિક ભાવનાઓ સાથે ખિલવાડ છે.
આ મામલે કેરળના સીએમ પી.વિજયને કહ્યું કે, તેઓ સુપ્રીમ કોર્ટના આદેશને માનશે. મુખ્યમંત્રી વિજયને કહ્યું કે, અમે કોઈને પણ કાયદો હાથમાં લેવાની પરવાનગી નહિ આપીએ. સરકાર સબરીમાલા મંદિર જતા ભક્તોની સુવિધાઓનું ધ્યાન રાખશે.