સરકારે ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક ગાળા માટે જીપીએફ અને અન્ય સ્કીમો પર વ્યાજ દર વધારીને 8 ટકા કરી દીધો છે. જણાવી દઈએ કે, ગયા ત્રિમાસિક ગાળામાં જીપીએફ પર વ્યાજ દર 7.6 ટકા હતો.
ફિક્સ આવક માટે આવી યોજનાઓમાં રોકાણ કરવાવાળાઓને ઘણા સમયથી વ્યાજદર વધવાની આશા હતી. ગયા બે ત્રિમાસિક ગાળાથી વ્યાજદર યથાવત હતા.
આર્થિક મામલાઓના વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નોટિફિકેશનમાં જણાવાયું છે કે, નાણાકીય વર્ષ 2018-2019 દરમિયાન 1 ઓક્ટોબરથી લઈને 31 ડિસેમ્બર 2018 સુધી જનરલ પ્રોવિડન્ટ ફંડ અને આના જેવા અન્ય ફંડ ધારકોને 8 ટકા વ્યાજ મળશે. નવો વ્યાજ દર કેન્દ્ર સરકારના કર્મચારીઓ, રેલવે અને સુરક્ષા દળોના પ્રોવિડન્ટ ફંડ પર પણ લાગુ થશે.
ગયા મહિને સરકારે ઘોષણા કરી હતી કે, ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક ગાળા માટે એનએસસી અને પીપીએફ સહીત નાની બચત પર વ્યાજ દરને 0.4 પોઇન્ટ વધારવામાં આવશે.