અયોધ્યા,
ઉત્તરપ્રદેશમાં અલ્હાબાદનું નામ પ્રયાગ રાજ કર્યા પછી હવે સીએમ યોગી આદિત્યનાથે ફૈઝાબાદનું નામ બદલી અયોધ્યા કરવાની જાહેરાત કરી છે.દેશભરમાં આજે જ્યારે રામમંદિરના મુદ્દે ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે અયોધ્યામાં દિવાળીના કાર્યક્રમમાં સીએમ યોગીએ ફૈઝાબાદ જીલ્લાનું નામ બદલીને અયોધ્યા કરવાની મોટી જાહેરાત કરી હતી.
યોગી આદિત્યનાથે અયોધ્યામાં મેડીકલ કોલેજનું નામ રાજર્ષિ દશરથ અને એરપોર્ટનું નામ ભગવાન રામના નામે કરવાની ઘોષણા કરી હતી.
આ પ્રસંગે અયોધ્યામાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિના પત્ની કિમ જંગ સુક મુખ્ય અતિથિ તરીકે પધાર્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કિમ જંગ સુકનું સ્વાગત કર્યુ હતું.
ફૈઝાબાદનું નામ બદલવાની જાહેરાત સાથે સીએમ યોગીએ જણાવ્યું કે આજથી આ જનપદ અયોધ્યાના નામથી જાણીતું થશે.
અયોધ્યા આપણી આન,બાન અને શાનનું પ્રતીક છે.અયોધ્યાની ઓળખ ભગવાન શ્રીરામથી છે.અમે અયોધ્યાનો વિકાસ ઇચ્છીએ છીએ.અમે ઇચ્છીએ છીએ કે અયોધ્યાની ઓળખ અયોધ્યા તરીકે જ થાય.