પઠાનકોટ,
થોડાક દિવસ અગાઉ જ પંજાબ પોલીસ ઇન્ટેલિજન્સના ઈનપુટના આધારે ભારત-પાકિસ્તાન બોર્ડર પર આતંકીઓ ઘૂસવાને લઈ હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારબાદ હવે પઠાનકોટમાંથી ૪ શંકાસ્પદોની પોલીસે કરી ધરપકડ કરી છે.
પંજાબ પોલીસ દ્વારા પઠાનકોટ-જલંધર નેશનલ હાઈવે પર નંગલપુર ગામ પાસેથી આ ચાર શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરી છે.
પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, આ ચાર વ્યક્તિઓ હિમાચલ પ્રદેશના પાર્સિંગવાળી એક સ્કોર્પિયો ગાડીમાં સવાર હતા અને તેઓએ સેનાની વર્ધી પહેરી હતી.
પઠાનકોટ-જલંધર નેશનલ હાઈવે પર ચેકિંગ દરમિયાન પોલીસને શંકા જતા તેઓની રોક્યા હતા અને ત્યારબાદ તેઓની ધરપકડ કરવામાં આવી છે અને પૂછતાછ કરાઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુપ્તચર એજન્સીઓના ઈનપુટન આધારે જ પંજાબમાં પોલીસ હાઈ એલર્ટ પર છે. આ ઉપરાંત કેટલાક દિવસો અગાઉ સેનાના પ્રમુખ બિપીન રાવતે પણ પંજાબમાં આતંકી ગતિવિધિઓ વધવાની આશંકા વ્યક્ત કરી હતી.
અંદાજે ૧૫ દિવસ અગાઉ ઘુસ્યા હતા ૭ આતંકી
આ પહેલા અંદાજે ૨ અઠવાડિયા પહેલા પાકિસ્તાનની બોર્ડર પરથી પંજાબના ફિરોજપુરમાં જૈશ-એ-મોહમ્મદના ૭ આતંકી ઘુસ્યા હોવાનો ખુલાસો થયો હતો.
પંજાબ પોલીસ ઇન્ટેલિજન્સના ઈનપુટના આધારે ભારત-પાકિસ્તાન બોર્ડર પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને આ ૭ આતંકીઓ રાજધાની દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે એમ જણાવવામાં આવ્યું હતું,
આ ઉપરાંત પઠાનકોટમાં માધોપુરથી ચાર શંકાસ્પદ દ્વારા એક કાર લુંટવામાં આવી હતી, ત્યારે હવે આ લૂંટને પણ આતંકીના ષડયંત્ર સાથે જોડવામાં આવી રહ્યું હતું.