ઐઝવાલ: દેશના પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ મિઝોરમમાં નવનિયુક્ત MNF સરકારનું મંત્રીમંડળ ઈસાઈ પ્રણાલી મુજબ શપથ ગ્રહણ કરશે તેમ સૂત્રોએ જણાવ્યું છે.
દેશના પાંચ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાના અને મિઝોરમ વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટ (MNF)એ બહુમતિ હાંસલ કરીને કોંગ્રેસ પાસેથી સત્તા ઝુંટવી લીધી છે ત્યારે મિઝોરમ વિધાનસભા સત્તા પક્ષના નેતા ઝોરમથંગા અને તેમનું મંત્રીમંડળ શનિવારે મંત્રીપદના શપથ ગ્રહણ કરશે.
આ એમએનએફની ઝોરમથંગા સરકારના મંત્રીમંડળનો શપથવિધીનો કાર્યક્રમ ઈસાઈ રીતિ-રિવાજ મુજબ યોજાશે. મિઝોરમમાં પહેલી વખત એવી ઘટના બનવા જઈ રહી છે કે, કોઈ સરકારનું મંત્રીમંડળ ઈસાઈ રીતિ-રિવાજ (પ્રણાલી)ની સાથે શપથગ્રહણ કરશે.
બાઈબલના પદોની સાથે આ પ્રસંગે હેન્ડલના પ્રસિદ્ધ ‘હેલલુઝાહ કોરસ’ જેવા ધાર્મિક ભજન પણ ગાવામાં આવશે. નવ નિર્વાચિત (ચૂંટાયેલા) મિઝો નેશનલ ફ્રન્ટના ધારાસભ્ય લાલરૂત્કિમાએ જણાવ્યું હતું કે, મિઝોરમમાં આ પ્રકારનો સમારોહ પહેલી વખત યોજાશે. તેમણે કહ્યું કે બાઈબલના પદ વાંચ્યા બાદ રાષ્ટ્રગાન વગાડવામાં આવશે.
બે વખતના મુખ્યમંત્રી અને એમએનએફના સુપ્રીમો જોરામગંથા પોતાના સાથીઓ સાથે શનિવારે બપોરે રાજભવનમાં શપથ ગ્રહણ કરશે. ચર્ચની સાથે એમએનએફના સંબંધો ઘણા નજીકના માનવામાં આવે છે. લાલ થાન્હાવલા શાસને રાજ્યમાં દારૂના ઉત્પાદન અને આઈએમએફએલના પ્રતિબંધિત વેચાણની પરવાનગી આપી હતી જ્યારે એમએનએફે હંમેશા દારૂના વેચાણ અને ઉત્પાદનનો વિરોધ જ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે મંગળવારે જાહેર થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસ માત્ર પાંચ સીટ જ જીતી શકી હતી. જ્યારે 2013ની ચૂંટણીમાં તેણે 34 સીટ હાંસલ કરી હતી. રાજ્યમાં કોંગ્રેસ આ વખતે બીજા નંબરે આવી છે.