નવી દિલ્હી: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સંસદમાં પૂછાયેલા એક પ્રશ્નનાં જવાબમાં એવો સ્વીકાર કર્યો છે કે, સપ્ટેમ્બરથી ડિસેમ્બર દરમિયાનના સમય ગાળામાં ગિર જંગલમાં 37 એશિયાટિક સિંહોના મોત નીપજ્યા હતા. સંસદમાં પૂછાયેલા એક પ્રશ્નનાં જવાબમાં કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આ આંકડાઓને સસંદમાં રજૂ કરવામાં આવ્યા હતા.
આ અગાઉ, ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ગિર અભ્યારણ્યમાં 11 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન કુલ 23 સિંહોનાં મોત થયા હતા. આ મૃત્યુ પામેલા પૈકીના મોટા ભાગનાં સિંહો ગિર અભ્યારણ્યમાં આવેલા ગિર પૂર્વ(ધારી) વન વિભાગ હેઠળ આવતા દલખાણિયા રેન્જનાં કરમદડી રાઉન્ડનાં રોણીયા વિસ્તારમાં હોવાનું નોંધાયું હતું.
![ગિરમાં 37 સિંહોના મોત થયા હોવાનું કેન્દ્ર સરકારે સંસદમાં સ્વીકાર્યુ 2 Central Government accepted the death of 37 lions in Gir](https://api.mantavyanews.in/wp-content/uploads/2018/12/Asiatic-Lions-Died-in-Gir-Forests.jpg)
આ મૃત્યુ પામેલા સિંહોના નમૂનાઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી (પુના) ખાતે મોકલવામાં આવ્યા હતા. તે પૈકીના કેટલાક સિંહોમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ(CDV) હોવાના અહેવાલ પણ સામે આવ્યા હતા. આ રોગના કૂતરાઓ અને બિલાડી કૂળનાં પ્રાણીઓમાંથી ફેલાય છે. આ અહેવાલ પછી, વન વિભાગ દ્વારા ગિર જંગલમાં રહેલા અન્ય સિંહોના સ્વાસ્થ્ય અંગેની તપાસ હાથ ધરવામાં આવી હતી.
ગિરના જંગલમાં એક સાથે આટલાં મોટા પ્રમાણમાં સિંહોનાં મોત થવાના કારણે વન્યપ્રાણી પ્રેમીઓ ભારે ચિંતામાં મૂકાઇ ગયા હતા
ગુજરાતના ગિરમાં ટપોટપ સિંહોનાં મોત થવાની ઘટનાને લઈને ઉત્તર પ્રદેશનાં ઇટાવા સફારી પાર્ક અને ઇન્ડિયન વેટરિનરી રિસર્સ ઇન્સ્ટિટ્યૂટનાં તજજ્ઞો પણ ગિરની મુલાકાતે દોડી આવ્યા હતા.
![ગિરમાં 37 સિંહોના મોત થયા હોવાનું કેન્દ્ર સરકારે સંસદમાં સ્વીકાર્યુ 3 Central Government accepted the death of 37 lions in Gir](https://api.mantavyanews.in/wp-content/uploads/2018/12/Asiatic-Lions-Died-in-Gir-Forests2.jpg)
ઉત્તર પ્રદેશના સેફઇ લાયન સફારી (ઇટાવા)થી ગીર જગંલની મુલાકાત લેનારા સૂત્રોએ મીડિયાને જણાવ્યું હતું કે, “આ તપાસમાં એવું જાણવા મળ્યુ હતું કે, આ સિંહોનાં મોત કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસથી થયા હતા. સેફઇ લાયન સફારી પાર્કમાં રહેલા સિંહો પણ આ જ વાયરસના કારણે મૃત્યુ પામ્યા હતા. આ વાયરસથી બચાવવા માટેની રસી છે. પરંતુ આ રસી દ્વારા જંગલમાં ખુલ્લા વિચરતા સિંહોને જીવાડી શકાતા નથી.”
અત્રે ઉલ્લેખનીય છે કે, કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (CDV)થી સિંહો મૃત્યુ પામ્યા છે એ બાબત જાણ્યા પછી ધારી વિસ્તારમાં અને જંગલની આસપાસનાં વિસ્તારોમાં વન વિભાગ અને રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા પશુઓ અને કૂતરાઓનું રસીકરણ કરવામાં આવ્યુ હતું.
![ગિરમાં 37 સિંહોના મોત થયા હોવાનું કેન્દ્ર સરકારે સંસદમાં સ્વીકાર્યુ 4 Central Government accepted the death of 37 lions in Gir](https://api.mantavyanews.in/wp-content/uploads/2018/12/Asiatic-Lions-Died-in-Gir-Forests3.jpg)
ગિરના જે વિસ્તારમાં 23 સિંહો મૃત્યુ પામ્યા હતા, તેનાથી નજીક આવેલા સેમરડી વિસ્તારમાં વસવાટ કરતા 31 સિંહોને તાત્કાલિક ધોરણે જામવાળા રેસ્કયુ સેન્ટર ખાતે ખસેડાયા હતા અને ત્યાંથી આ સિંહોને દેવળિયા સફારી પાર્કમાં ખસેડવામાં આવ્યા હતા.
હાલ, આ સિંહો દેવળિયા સફારી પાર્કમાં જ રાખવામાં આવ્યા છે. આ સિંહોની તબિયત હવે સારી છે. પરંતુ સાવચેતીના ભાગરૂપે તેમને અહી રાખવામાં આવ્યા છે તેમ વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.