લખનઉ,
દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશની ૮૦ લોકસભા બેઠકો પર જીત મેળવવા માટે તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા કવાયત શરુ કરી દેવામાં આવી છે, ત્યારે હવે રાજ્યની વર્તમાન સત્તારૂઢ ભાજપ સરકાર પણ એક મોટો દાવ રમવાની તૈયારીમાં છે.
સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી મુજબ, ઉત્તરપ્રદેશમાં યોગી સરકાર સાધુ – સંતોને સાધવા માટે તેઓને પેન્શન યોજનાઓમાં શામેલ કરવા જઈ રહી છે.
સરકાર વૃદ્ધાવસ્થા પેન્શન યોજના હેઠળ રાજ્યના તમામ જિલ્લાઓમાં શિબિર લગાવીને સાધુ – સંતોને પ્રોત્સાહિત કરીને આ યોજનાના ડાયરામાં શામેલ કરીને તેઓને લાભ આપી શકે છે.
જો કે અત્યારસુધીમાં પ્રદેશમાં સાધુ – સંતોને પેન્શન યોજનામાં એટલા માટે શામેલ કરવામાં આવતા ન હતા, કારણ કે તેઓ પાસે જરૂરી મૂળભૂત કાગળ કે દસ્તાવેજ ન હતા. પરંતુ હવે યોગી સરકાર તેઓને જિલ્લાઓમાં શિબિર લગાવીને પેન્શન યોજનામાં શામેલ કરવાનો નિર્ણય કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી પહેલા યોગી સરકાર તમામ મહત્વપૂર્ણ યોજનાઓનો વધુને વધુ પ્રસાર કરી રહી છે, જેમાં આયુષ્માન ઉજ્જવલા અને સૌભાગ્ય જેવી ઘણી યોજનાઓ છે.