એર ઇન્ડિયાએ દેશને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના હેતુથી પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવાની જાહેરાત કરી છે. એર ઇન્ડિયાના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર અશ્વિની લોહાનીએ ગુરુવારે કહ્યું કે અમે 2 ઓક્ટોબરથી એરલાઇનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવીશું.
તેમણે જણાવ્યું હતું કે પહેલા તબક્કામાં એર એક્સપ્રેસની તમામ એલાઇડ અને સહયોજગી ફ્લાઇટ્સ પર પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાદવામાં આવશે. બીજા તબક્કામાં, એર ઇન્ડિયાની તમામ ફ્લાઇટ્સમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાગુ કરવામાં આવશે.
પીએમ મોદીના પ્લાસ્ટિક વપરાશ સામે લોકોના આંદોલનના નિર્ણય બાદ એર ઇન્ડિયા દ્વારા આ દિશામાં એક મોટું પગલું લેવામાં આવ્યું છે. એર ઈન્ડિયા દ્વારા આ અંગે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 2 ઓક્ટોબરથી વિમાનોમાં પ્લાસ્ટિકની વસ્તુઓ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાગવામાં આવશે.
પાકિસ્તાનની તરફથી એરસ્પેસ બંધ થવાના સવાલ પર એર ઇન્ડિયાના સીએમડી અશ્વિની લોહાનીએ કહ્યું કે અગાઉ જ્યારે પાકિસ્તાને તેની એરસ્પેસ બંધ કરી હતી ત્યારે એર ઈન્ડિયાને દરરોજ 4 કરોડ રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું હતું. એર સ્પેસ બંધ થવા જેવી પરિસ્થિતિ હજી સામે આવી નથી.
આ થશે બદલાવ
પ્લાસ્ટિકના પાઉચમાં આપવામાં આવતી કેળાની ચિપ્સ અને સેન્ડવિચ હવે બટર પેપર પાઉચમાં આપવામાં આવશે.
કેક સ્લાઇસ હવે સ્નેક્સ બોક્સને બદલે મફિનમાં રેપ કરીને આપવામાં આવશે.
મુસાફરો દ્વારા ઓર્ડર કરવામાં આવતા ખાસ મીલને ઇકો ફ્રેન્ડલી વુડન કટલરી પ્લેટમાં પીરસવામાં આવશે.
ક્રૂ મીલ માટે આપવામાં આવેલા કટલરીને બદલે હવે લાઇટ વેટ સ્ટીલ કટલરીનો ઉપયોગ કરવામાં આવશે.
પાણી માટે પ્લાસ્ટિકના ગ્લાસને બદલે કાગળના ગ્લાસનો ઉપયોગ કરવામાં આવશે.
ફ્લાઇટમાં પ્લાસ્ટિક ચા ના કપને બદલે હવે કાગળના કપ આપવામાં આવશે.