નવી દિલ્હી,
છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂની રમત-ગમત ક્ષેત્રના સર્વોચ્ચ એવોર્ડ રાજીવ ગાંધી ખેલ રત્ન માટે ભલામણ કરવામાં આવી છે.
ભારતીય ક્રિકેટ બોર્ડ BCCI દ્વારા ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલા વિરાટ કોહલીને વધુ એકવાર દેશના રમત-ગમત ક્ષેત્રના સર્વોચ્ચ એવોર્ડ માટે નામ મોકલવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા ૨૦૧૬માં પણ વિરાટ કોહલીનું નામ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે મોકલવામાં આવ્યું હતું, પરંતુ આ દરમિયાન રિયો ઓલમ્પિકમાં મેડલ જીતનાર પી વી સિધ્ધુ અને સાક્ષી માલિક ઉપરાંત ચોથા સ્થાન પર રહેલી દીપા કર્મકારની સાથે જીતું રાયને આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
સૂત્રો દ્વારા જણાવ્યા અનુસાર, મીરબાઈ ચાનૂનું નામ વેટલિફ્ટિંગ ફેડરેશન દ્વારા અર્જુન એવોર્ડ તેમજ રાજીવ ગાંધી ખેલ રત્ન માટે મોકલી આપ્યું છે.
મીરબાઈની વાત કરવામાં આવે તો, તે હાલ પોતાના શાનદાર ફોર્મમાં છે. ગત વર્ષે રમાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતવા ઉપરાંત ગોલ્ડ કોસ્ટમાં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મેળવી હતી.
બીજી બાજુ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી હાલમાં પોતાના કેરિયરના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં છે. કોહલીએ ૭૧ ટેસ્ટ મેચમાં ૨૩ સદી સાથે ૬૧૪૭ રન બનાવ્યા છે, જયારે ૨૧૧ વન-ડેમાં તેઓએ ૩૫ સદી સાથે ૯૭૭૯ રન બનાવ્યા છે.
આ ઉપરાંત ભારતીય કેપ્ટન હાલમાં વન-ડે ક્રિકેટ અને ટેસ્ટ રેન્કિંગમાં દુનિયાનો પ્રથમ બેટ્સમેન છે.