અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બિસમાર રોડ રસ્તાના પ્રશ્ને સ્થાનિક તંત્રથી લઈને ઠેક કેન્દ્ર સરકારની પબ્લિક ગ્રીવેન્સ પોર્ટલમાં પણ અનેક વાર રજૂઆતો કરવા છતાં પણ પ્રશ્નોનો નિકાલ ન આવતા લોકો છેલ્લે કંટાળીને આંદોલન થકી માર્ગો પર ઉતર્યા છે. 5 ગામોના સરપંચ સાથે 100થી વધુ લોકોએ રસ્તા પર બેસી કલાક સુધી રસ્તો બ્લોક રાખી પોતાનો રોષ ઠાલવ્યો હતો. અને કેટલાક લોકોએ અર્ધનગ્ન હાલતમાં ઉગ્રતાથી પોતાનો રોષ ઠાલવી મીડિયાના માધ્યમથી એક ચીમકી ઉચ્ચારી હતી.
લાઠી તાલુકાના લાઠી-પ્રતાપગઢ-ભીંગરાડ અને લુવારીયાથી આસોદર ગામને જોડતો રોડ-રસ્તો વર્ષોથી ખરાબ હાલતમાં છે. જેને લઈને આ ગામના લોકો છેલ્લા દોઢ વર્ષથી તંત્રના અધિકારીઓને રજૂઆતો કરી રહ્યા છે. આ રોડ અઢી વર્ષ પહેલા બનાવવામાં આવેલ પરંતુ એક વર્ષ ટૂંકા સમય ગાળામાં આ રોડની હાલત દયનિય બની ચુકી હતી. ત્યાર બાદ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનો રોડને મેઈન્ટેઈન કરવામાં ન આવતા આ રોડમાં ખાડાઓ પડી ગયા છે. ત્યારે આવી સ્થિતિમાં ટુ વહીલ તો શું ફોરવ્હીલ પણ ચલાવવી મુશ્કેલ બની ચુકી છે.
જેને લઈને આ રોડ રસ્તામાં આવતા પ્રતાપગઢ, આસોદર, ભીંગરાડ, પાડરસિંગા, કૃષ્ણગઢ, લુવારીયા, છભાડીયા, હરીપર સહિતના ગામોના વિદ્યાર્થીઓ લાઠી તાલુકા મથક તેમજ અમરેલી જિલ્લા મથકે શાળા-કોલેજોમાં જવા તો ખેડૂતોને પોતાનો માલ-સામાન લાવવા લઇ જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
તો બીજી તરફ ખરાબ રસ્તાઓને કારણે દવાખાનાના કામોમાં એમ્બ્યુલન્સો પણ સારી રીતે ચાલી શકે તેવી હાલત નથી જેને લઈને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ રોડ-રસ્તાને લઈને અહીંના આગેવાનો, સરપંચો દ્વારા અનેક વાર તાલુકા મથકો પર તેમજ જિલ્લા મથકો પર અનેક વખત લેખિતમાં, મૌખિક, ટેલિફોનિકમાં મકાન, પંચાયત વિભાગના અધિકારીઓ, પ્રાંત અધિકારી સહિતના અનેક અધિકારીઓને તમામ ગ્રામ પંચાયતો દ્વારા તેમજ ગામના આગેવાનો દ્વારા અનેક વાર રજૂઆતો કરવામાં આવી તેમજ સંકલની બેઠક દરમિયાન પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો તેમ છતા કોઈ નિકાલ આવ્યો નહિ. આ ઉપરાંત સરકાર ડીજીટલી ફરિયાદમાં માની રહી છે.
ત્યારે કેટલીય વખત કેન્દ્ર સરકારની પબ્લિક ગ્રીવેન્સ પોર્ટલ(પીજી)પણ રજુઆત કરવામાં આવી તે છતાં કોઈ નિકાલ આવ્યો નથી…ત્યારે અહીંના ગામ જનો ના છૂટકે હવે આંદોલનના માર્ગ પર ઉતાર્યા છે. આ આસોદર, ભીંગરાડ, કૃષ્ણગઢ, લુવારીયા અને છભાડીયા એમ 5 ગામના સરપંચો તેમજ ગામના લોકોએ અર્ધનગ્ન હાલતમાં આસોદર-લુવારીયા તરફ જતા માર્ગ પર એક કલાક સુધી ચક્કાજામ કર્યો હતો. અને વાહનો ને પણ રોકવામાં આવ્યા હતા. તેમજ કેટલાક લોકોએ અર્ધ નગ્ન હાલતમાં તંત્ર વિરોધ નારાઓ લગાવી પોતાનો રોષ ઠાલવ્યો હતો. આવતી કાલે આ લોકો દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજુઆત કરશે જો આ પ્રશ્નનો નિકાલ નહિ આવે તો હજી પણ આ આંદોલન ઉગ્ર બનશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
પાર્થ ખેર,મંતવ્ય ન્યુઝ,અમરેલી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.