@રીઝવાન શેખ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ
કોરોનાકાળમાં ઉત્તરાયણની ઉજવણી થશે કે નહીં તે મામલો ગુજરાત હાઇકોર્ટનાં હવાલે હતો અને તમામ લોકોની આશા અપેક્ષા પ્રમાણે હાઇકોર્ટ દ્રારા ઉજવણીની છુટ આપવામાં આવતા કરોડો ગુજરાતીઓમાં ખુશીની લહેર ફેલાઇ ગઇ છે. ખુશ થવા જેવી બાબત છે, પરંતુ ઉજવણીમાં કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિયમોનું પાલન પણ કરવાનું યાદ રાખવું પડશે, કારણ કે હાઇકોર્ટ દ્વારા નિયમોની કડક અમલાવરીનો આદેશ પણ આપ્યો જ છે.
કોરોનાની મહામારી વચ્ચે ઉત્તરાયણની ઉજવણી હાઇકોર્ટના આદેશ મુજબ નીચેના નિયમોની કડક અમલવારી સાથે કરવાની રહેશે. નિયમોનો ભંગ કરનાર સામે આઇપીસી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે. તો આવો જાણી લઇએ શું છે નિયમો…
ઉત્તરાયણની ઉજવણીનાં નિયમો
૧ – જાહેર સ્થળો-રસ્તાઓ અ્ને ખૂલા મેદાનો પર પતંગ ચગાવવાની મંજૂરી નહીં.
૨ – કોરોનાના પગલે ઉત્તરાયણની ઉજવણી માત્ર કુટુંબની નજીકના સભ્યો સાથે જ કરવાની રહેશે.
૩ – માસ્ક વિના કોઇ પણ વ્યક્તિઓ પતંગ ચગાવવા માટે સોસાયટી-ફ્લેટના ધાબા પર ભેગા થવાનું નહીં.
૪ – ફરજિયાત સામાજિક અંતરના નિયમો અને સેનિટાઇઝર્સની વ્યવસ્થા કરવાની રહેશે.
૫ – ફ્લેટ કે સોસાયટીના રહીશો સિવાયના કોઇ મેમ્બર્સ-મહેમાનોને ધાબા-અગાશી પર મંજૂરી નહીં. જો આ નિયમનો ભંગ થશે તો સોસાયટીના ચેરમેન-સેક્રેટરીને જવાબદાર ગણી તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરાશે.
૬ – ફલેટ કે સોસા.ના ધાબા પર મોટી સંખ્યામાં લોકોના મેળાવડા પર પ્રતિબંધ.
૭ – લાઉડસ્પીકર્સ, ડીજે અને મ્યુઝિક સિસ્ટમનો વપરાશ કરવો નહીં.
૮ – ૬૫ વર્ષથી વધુની વ્યક્તિઓ, કો-મોર્બિડિટીઝ સાથેની વ્યક્તિઓ, ૧૦ વર્ષથી નાના બાળકોને ઘરની અંદર રહેવાની ભલામણ.
૯ – રાઇટિંગ, સ્લોગન કે કોઇ પ્રકારના ફોટા પતંગ પર લગાવવા નહીં, જેથી કોઇની ભાવનાઓને ઠેસ ન પહોંચે.
૧૦ – ચાઇનિઝ તુક્કલ, સિન્થેટિક કાંચ અ્ને પ્લાસ્ટિકના માંજા(દોરી) પર પ્રતિબંધ.
૧૧ – રાયપુર, જમાલપુર, ટંકશાળ, નરોડા વગેરે વિસ્તારોમાં ભરાતા પતંગબજારોમાં જતાં લોકોએ કોવિડ પ્રોટોકોલ્સનો અમલ કરવાનો રહેશે. પોલીસને મદદરૂપ થવાના રહેશે.
૧૨ – અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત ખાતે રાત્રિ કરફ્યૂ માટેના નિયમોનો કડક અમલ કરવાનો રહેશે.
૧૩ – ડ્રોન, સીસીટીવીની મદદથી ઉક્ત તમામ નિયમોની અમલવારી થાય છે કે કેમ તેનું સઘન પેટ્રોલિંગ અને સર્વેલન્સ રખાશે.
૧૪ – જો કોઇ વ્યક્તિ આ નિયમો, સૂચનોનો ભંગ કરતાં જણાશે તો તેની સામે આઇપીસી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અન્વયે દંડાત્મક કાર્યવાહી થશે.
જુઓ આ માર્ગદર્શિકા પણ –
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…