સિને મેં જલન…આંખોમેં ખોફ સા ક્યુ હૈ?
ઇસ શહેર મેં હર શખ્સ પરેશાં સા ક્યુ હૈ ?
અમદાવાદ, સુરત, અને વડોદરા ની આ હાલત માટે કોણ જવાબદાર ???
by : રીના બ્રહ્મભટ્ટ, કટાર લેખક
સાંજ ઢળતા જ સુમસામ બનતા રોડ-રસ્તાઓ, સાયરન વગાડતી એમ્બ્યુલન્સો, દુધેશ્વર રોડ પાસેથી પસાર થાવ તો કાળા ડિબાંગ ધુમાડાના ગોટે ગોટા માહોલમાં ડર પેદા કરવા પૂરતા છે. હર્દય સતત એક અજાણ્યા ડર થી કંપતું રહે છે. કોરોના કાળ બની આસપાસ મંડરાતો હોય તેવી દહેશત લોકોમાં ઘુસી ગઈ છે. લોકોના વધારે પડતા વિશ્વાસે જ કોરોનમાં પ્રાણ ફૂંક્યા છે. આળસ મરડી માર્ચમાં ફરી બેઠો થયેલ કોરોના દે ધનધાનના મૂડ માં છે. ટાર્ગેટ પૂરો કરવાનો હોય તેમ દરેક ઘરમાં પ્રવેશ કરવા તે પ્રતિબદ્ધ છે.
ત્યારે આ તો થઇ કોરોના ની કર્મ કુંડળી ની વાત પરંતુ કોરોના ની સાથે સાથે જે અરાજકતા ભર્યો માહોલ પેરેલલ વિકસી રહ્યો છે તેના માટે આ સ્થિતિમા કોણ જવાબદાર છે? લોકોના અકળાયેલા, ભૂરાંટા થયેલા અને વળી ડરેલા ટોળાઓ આ વાતાવરણમાં પણ ક્યાંક ટેસ્ટ કરાવવા, ક્યાંક એડમિટ થવા, ક્યાંક
ઓક્સિજન માટે તો ક્યાંક રેડિસમવેર ઈન્જેક્શનની અછતને કારણે ફરી રહ્યા છે. ચિંતાની સાથે અરાજકતા ભળતા ન છૂટકે કોર્ટ ગઈ કાલે રજા હોવા છતાં સુઓમોટો અરજી દાખલ કરી જાતે જ આજે સુનવણી કરી છે. જે સત્તાનશીન સરકારના મોં પર સણસણતો તમાચો છે. અદાલતે ન છૂટકે અરીસો ધરવો પડ્યો છે.
તો બીજી તરફ સી..આર.પાટીલ દેવતાની ભૂમિકામાં આવી ગયા છે. અને સામે છેડે મુખ્યમંત્રી છે. આ આખો મામલો તેટલો ચર્ચાયો છે કે, સત્ય અને અસત્યને બદલે તેમાં પણ લોકો બે ભાગમાં વહેંચાઈ ચુક્યા છે. ત્યારે સવાલ તે છે કે, ઈન્જેક્શનોનો જથ્થો અગર પાટીલજી કોઈપણ રીતે ઉપલબ્ધ કરાવી શકતા હોય તો સરકાર કેમ નહીં ? મતલબ કે અશક્ય કઈ જ નથી.. ? રાતોરાત 5000 ઇન્જેક્શનનો જથ્થો આવી શકતો હોય તો પ્રજાને કેમ ધક્કે ચડાવાય છે? તેનો જવાબ ક્યાંથી લોકોને જાણવા મળશે? વળી આ ઇન્જેક્શન એફડીસીએ ના લાયસન્સ વગર રાખવું તે ડ્રગસ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ અન્વયે ગુનો બને છે તે અલગ બાબત છે. પરંતુ સેવાના નામે આ છૂટ અગર કોઈ લેતું હોય તો તેને નજર અંદાજ કરી શકાય..આખરે સવાલ આ વસમી સ્થિતિને પહોંચી લોકોના જાન બચાવવાનો છે.
પરંતુ તેમાંથી બીજા સવાલો જે આકાર લે છે તે મૂળ મુદ્દો છે. પાટીલજી તેમની જ સરકારને જાણે-અજાણે સવાલના ઘેરામાં લાવી રહ્યા છે.. કે થઇ શકે તેમ તો છે પરંતુ આયોજન અને નજરઅંદાજીનો ખ્યાલ તેના માટે જવાબદાર છે. અને વાતમાં દમ પણ છે જ.. અત્યારે જ્યાં સેંકડો લોકો સારવાર માટે વલખા મારી રહ્યા છે, ત્યાં સરકાર કેમ વ્યવસ્થા નથી કરી શકતી ? લોકોની સાથે સરકારની પણ અગ્નિ પરીક્ષાનો આ સમય છે, તે ન ભુલાય..આ યુગમાં સારવાર વગર એકપણ દર્દી અગર મોતને ભેટે છે તો તે હેલ્થ સેકટરની મોટી કારમી હાર છે.
બીજો મુખ્ય મુદ્દો તે છે કે, લોકોના ખર્ચે, લોકોના ટેક્સમાંથી લોકો માટે બનાવવામાં આવેલ એસવીપી હોસ્પિટલ્સ ને મોટાભાગે વીઆઈપી ઓ માટે જ જાણે ફાળવવામાં આવી હોય તેમ પાછલા કેટલાય સમયથી મેનેજ કરવામાં આવી રહી છે.
કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાના જણાવ્યા અનુસાર , અમે પણ અગર સામાન્ય લોકોની ભલામણ કરીયે છીએ તો હોસ્પિટલ ફૂલ હોવાનો ગોખેલો જવાબ આપવામાં આવે છે.. આ અંગે 108 ને એસવીપી માટે પૂછવામાં આવે છે તો પણ તેઓ કદાચ સૂચના મુજબ મનાઈ કરી દે છે.. ઇમરાન ખેડાવાલા ના જણાવ્યા અનુસાર, અને 108 ને પણ આ અંગે પૂછતાં અગાઉ પણ સિવિલ માં લઇ જવા અંગે જ જવાબ મળેલ છે. મતલબ કે મ્યુન્સીપાલિટી રાજ્ય સરકાર પર જવાબદારીનો બોજો નાખી રહી હોય તેવો સીન ઉભો થયો છે. જેનો ભોગ લોકો બની રહ્યા છે.
જેમાં વીઆઈપી ઓ ને તો આ તંગ માહોલમાં પણ યુએન મહેતા માં કે એસવીપીમાં ટ્રીન્ટમેન્ટ મળી જ જતી હોય છે. બીમાર સગાને લઈને રઝળપાટ કરવાનો વારો સામાન્ય લોકોને ભાગે જ આવે છે . અને આ સ્થિતિં ને લીધે જ આજે અમદાવદમાં ખરા બપોરે પણ રાતનો અહેસાસ થાય તેવો માહોલ છે. ત્યારે લોકો હજી પણ સમજે તો સારું છે, અન્યથા કોરોના ના કહેરમાં પરેશાની વધુ અરાજકતા ફેલાવશે …
બીજી તરફ આ વખતે કોર્પોરેશને ગઈ વખતના જેમ હજી પ્રાઇવેટ હોસ્પિટલ્સ પાસેથી 50 % બેડ લીધા નથી, તો આ અંગે ઇમરાન ખેડાવાળા અને અન્ય કોંગ્રેસી કાર્યકરોએ માંગણી કરતો પત્ર કલેક્ટરને સુપરત કર્યો છે. ત્યારે આ સ્થિતિમાં આ સરકાર કે કોર્પોરેશન હવે કોની રાહ જોઈને બેઠા છે? તે સમજાતું નથી. આ કસોટીનો સમય છે…સરકાર માટે મોટો પડકાર લોકોની ઝડપી , સસ્તી અને પૂરતી સારવાર ઉપલબ્ધ કરવાનો છે…નહીંતર આ અરાજકતા લોકોના દિલથી રોડ-રસ્તા પર પણ ક્યાંક પહોચી શકે છે.. આખરે સવાલ લોકોની જાન નો જો છે..