રાજકોટ સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારી નો શહેર વધતો જાય છે એવામાં તંત્ર દ્વારા આપવામાં આવી રહેલી સુવિધાઓ ક્યાંક અપૂરતી સાબિત થઇ રહી છે. રાજકોટ તેમજ ગુજરાતમાં વિવિધ સ્વયંસેવકો તેમજ ખાનગી સંસ્થાઓ જાહેર જનતાના હિતમાં આગળ આવી મદદનો હાથ લંબાવી રહ્યા છે, તેમજ મુશ્કેલીના સમયમાં લોકોને મદદરૂપ થવાની ભાવના થી કોર્ટના નિર્ણય પણ કરવામાં આવી રહ્યા છે.કોરોનાના દર્દીઓને બેડ અને ઓક્સિજનની સુવિધા નથી મળતી તેવી ફરિયાદો વચ્ચે રાજકોટ માટે એક સારા સમાચાર છે કે રાજકોટની એસ. એન. કે સ્કુલ ખાતે આજથી કોવિડ કેર સેન્ટર શરૂ કરી દેવામાં આવ્યું છે. આ સેન્ટર ખાતે દર્દીની સારવાર ફ્રીમાં કરવામાં આવશે.
TGESના ડાયરેકટર કિરણ ભાલોડિયાએ જણાવ્યું છે કે, હાલના તબક્કે 50 બેડથી શરૂઆત કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં રિસોર્સ, મંજૂરી અને જરૂરિયાતને ધ્યાનમાં રાખતા 500 બેડ સુધીની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. અહીં ઓક્સિજન બેડ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. જ્યારે આઇસીયૂની વ્યવસ્થા હાલ ઉપલબ્ધ નથી. સેન્ટરની તમામ સારવાર અને મેડિકલને લગતી બાબતો માટે HCG ગ્રુપ સાથે જોડાણ કરવામાં આવ્યું છે. દાખલ થનાર દર્દીને રહેવા, જમવા તેમજ દવા બાબતે એક પણ રૂપિયો તેમણે અથવા તો તેમના પરિવારજનોએ ચૂકવવાનો રહેશે નહીં.
એસએનકે સ્કુલના કેર સેન્ટરમાં દાખલ થનાર દર્દીને સારવાર માટે કોઈ રકમ આપવી પડશે નહીં અને સાથે જ તેમને રહેવા, બે ટાઈમ જમવાનું અને દવા સહિતની તમામ સુવિધા દર્દીને ફ્રીમાં મળશે. અહીં હાલ 50 ઓક્સિજન સાથેના બેડ સાથે સેન્ટર શરૂ કરવામાં આવ્યું. જો કે આગામી દિવસોમાં જરૂરિયાત વધશે અને સંચાલકોને મંજૂરી મળશે તો બેડની સંખ્યા વધારી દેવામાં આવશે.સંચાલકો અહીં દર્દીની જરૂરીયાતની વસ્તુઓ મળી રહે તો 500 બેડ સુધીની વ્યવસ્થા ગોઠવવા તત્પર છે. જો કે અહીં કોરોનાના ગંભીર દર્દીઓને દાખલ કરવામાં આવશે નહીં. કારણ કે અહીં આઈસીયુની વ્યવસ્થા નથી.
દર્દીને કઈ રીતે દાખલ કરી શકાશે?:
કોવિડ કેર સેન્ટરની શરૂઆત 50 બેડથી કરવામાં આવશે. દાખલ થનાર દર્દીને સેન્ટર ખાતે સીધા લાવી નહીં શકાય. તે માટે દર્દી અથવા તો તેમના પરિવારજનોએ સેન્ટરના નંબર 63588 45684 પર કૉલ કરવાનો રહેશે. એડમિશન માટેની ફોન લાઈન રોજ સવારે સવારે 8 વાગ્યે શરૂ થશે. સેન્ટરમાં ફોન પર હાજર વ્યક્તિ જે તે દિવસની જેટલા બેડની કેપેસિટી હશે તેટલા જ કૉલ એટેન્ડ કરશે. જો આપ ફોન કરો ત્યારે રેકોર્ડિંગ સાંભળવા મળે તો દર્દી અથવા તેમના પરિજનોએ માનવું કે બેડ ફૂલ થઇ ચૂક્યા છે. જે માટે તેઓ ફરી બીજા દિવસે સવારે આઠ વાગ્યે એડમિશન ફોન લાઈન શરૂ થાય ત્યારે પ્રયત્ન કરી શકે છે.
રાજકોટના સેવાભાવીઓનો સહિયારો પ્રયાસ
સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ નોટમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, અહીં કોઈ પણ જાતનું વેઇટીંગ લીસ્ટ રાખવામાં આવશે નહીં. રોજે રોજ તમામ લોકોને સારવાર કરાવવા માટે ચાન્સ આપવામાં આવશે. સેન્ટર દ્વારા એડમિશન પ્રક્રિયામાં પારદર્શિતા રાખવામાં આવશે. આ કોવિડ સેન્ટર ટીજીઈએસના ડાયરેકટર કિરણ ભાલોડિયા, બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશ ગજેરા, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રમુખ રમેશભાઇ ટિલાળા, બીએપીએસના અપૂર્વ મુનિ સ્વામી, જ્યોતિ સી.એન.સીના પરાક્રમ સિંહ જાડેજા સહિતના અગ્રણીઓના સહયોગથી શરૂ કરવામાં આવ્યું છે.