લગ્નજીવનની હજૂ તો શરૂઆત જ થઇ , હાથની મહેંદી પણ હજૂ સુકાઇ નહીં, લગ્નને ચાર જ દિવસ થયા હતા ત્યાં જ આરતીબહેનપર ફોન આવ્યો કે “આપણા ડાયેટિશિયન વિભાગમાં છ મિત્રો કોરોના પોઝિટિવ થયા છે”.ક્ષણભરનો પણ વિચાર કર્યા વગર આરતીબેને કહ્યું “હું કાલથી ડ્યુટી જોઇન કરૂ છું”.
અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતા આરતીબેન ગજ્જર અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝિગ્નેટેડ હોસ્પિટલના ડાયેટ વિભાગમાં ફરજ બજાવે છે. તેમના લગ્ન હજુ ગત પચીસમી એપ્રિલના રોજ ખંભાત ખાતે થયા હતા. તેઓના દાંપત્યજીવનની હજુ શરૂઆત જ થઇ હતી.
લગ્ન બાદ સ્વભાવિક છે કે સાસરે રહીને નવજીવનને, નવી જવાબદારીઓને સમજવાની કોશિશ કરી રહ્યા હતા. ત્યાં જ તેમને જાણ થઇ કે અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝિગ્નેટેડ હોસ્પિટલના ડાયેટ વિભાગમાં તેમના મિત્રો કોરોનાથી સંક્રમિત થઇ ગયા.
પરિસ્થિતિ પારખીને આરતીબહેને પોતાની કર્તવ્યનિષ્ઠાને પ્રાધાન્ય આપવાનું પસંદ કર્યું. તમામ અરમાનો અને સપનાઓને બાજુમાં મૂકીને આરતીબહેને લગ્ન પછીના ચોથા જ દિવસે ડયુટી જોઇન કરી લીધી. છેડાછેડીની ગાંઠ હજુ છૂટી પણ નહોતી ત્યાં તેમણે ફરજ પ્રત્યેની ગાંઠ મનમાં બાંધી લીધી હતી.
આરતીબહેન ગજ્જર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષથી કોરોનામાં ફરજ અદા કરી રહ્યા છે. કોરોના વોર્ડમાં દાખલ દર્દીને સમયસર ભોજન મળી રહે તે માટે દર્દીઓના અન્નપૂર્ણા બનીને કામગીરીનું ઉત્તમ ઉદાહરણ આરતીબહેને પુરુ પાડ્યું છે. તેઓ વોર્ડમાં જઇને દર્દીઓને અલગ અલગ સમયે સંતુલિત ખોરાક, તેમના શરીરના જરૂરિયાત મુજબનો ખોરાક નક્કી કરીને તેમને પહોંચતુ કરે છે.
આવી કપરી પરિસ્થિતિમાં અંગત જીવન કરતા સમાજસેવા અને દેશસેવા વધુ જરૂરી છે. એક દર્દીને સમયસર જમવાનું મળી રહે તેની માનસિક સ્થિતિ પણ મજબૂત બની રહે તે મારા માટે મહત્વનું હતું, જેથી હું ખૂબ જ ટૂંકાગાળામાં ફરજ પર હાજર થઇ છું. આવી પરિસ્થિતિઓમાં સ્વને ભૂલીને સમષ્ટિનું વિચારી ફરજને પ્રાધાન્ય આપે તે જ સાચો કર્મચારી કહેવાય આ જ બાબતને ધ્યાનમાં રાખીને દર્દીનારાયણની સેવા કરવા માટે હું લાગી ગઇ છું તેવું આરતીબહેન ઉમેરે છે.