આણંદ જિલ્લામાં તાઉ-તેએ તાકાત બતાવી છે. બપોર બાદ તેજ વાવાઝોડા સાથે ધુઆધાર વરસાદે એન્ટ્રી મારી હતી. આણંદ જિલ્લાના કાંઠાના ગામોમાં કાચા ઘરો અને માર્ગ ઉપરના વૃક્ષો ધરાશયી થવાના બનાવો નોંધાયા હતા. 70 થી 80 ની સ્પીડે વાવાઝોડુ ખંભાત, તારાપુર સહિત સમગ્ર આણંદ જિલ્લાને ધમરોળી રહ્યું છે. જેમાં 3400 થી વધુ નાગરિકોનું સ્થળાંતર કરાયું છે. તથા ખંભાતમાં વીજ કરંટથી એક બાળકીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
જિલ્લામાં ખેતીને પણ વ્યાપક નુકસાન પહોંચ્યુંઆણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખંભાતના દરિયાકાંઠાના 15 ગામો અને બોરસદ તાલુકાના ત્રણ મળી કુલ 18 ગામોને એલર્ટ કર્યા હતા. જે સહિત જિલ્લા ઘણા ગામોમાં અને શહેરોમાં વાવાઝોડાએ હાહાકાર મચાવ્યો છે. જિલ્લામાં અનેક ગામો અને શહેરોમાં વીજળી ડુલ થઈ છે. હાઇવે ઉપર ઝાડ પડવાના બનાવો બન્યા છે. જાહેર માર્ગો ઉપર પાણી ફરી વળ્યાં છે. તો સ્ટેટ હાઇવે પણ ભારે પવનને લઈ વાહનવ્યવહાર ખોરવાયો છે. જિલ્લામાં ખેતીને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલ છે.
ખંભાત ધુવારણ રોડ ડાલી ચોકડી ઉપર તોતિંગ ઝાડ પડી જતા માર્ગ બ્લોક થઈ ગયો હતો. તારાપુર ખંભાત હાઇવે ઉપર ઝાડ ધરાશયી થતા માર્ગ બંધ થયો હતો. તંત્ર અને સ્થાનિકોએ ભેગા મળી માર્ગ સાફ કર્યો હતો. તારાપુર ખેડા રોડ ઉપર ઝાડ ધરાશયી થતા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ અટવાઈ ગઈ હતી. જોકે ખેડા એનડીઆરએફ ટીમની સરાહનીય કામગીરીથી કોઈ જાનહાનિ થઈ નથી. તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ માટે રસ્તો સાફ કરવામાં આવ્યો હતો.
આંકલાવ મામલતદાર કચેરીમાં ભારે પવન અને વાવાઝોડાએ પાર્કિંગ ધરાશયી કર્યું હતું. પતરા હવામાં ઉડાડયા હતા. પાર્કિંગમાં પાર્ક કરેલ અધિકારીઓ અને સ્ટાફની ગાડીઓને ભારે નુકશાન પહોંચ્યું છે. ખંભાત ધુવારણ માર્ગ ઉપર 400 થી વધુ વૃક્ષ ધરાશયી થયા તથા 150 થી વધુ વીજ પોલ ધરાશયી થયા હતા. તેમજ 100 થી વધુ મકાનોના પતારા ઉડ્યાની ઘટના જાણવા મળી છે.એક વાહનચાલકે અનુભવ વર્ણવ્યો કે માર્ગ ઉપર ઝાડ ધરાશયી ના અગણિત બનાવો ને લઈ 30 કિલોમીટરનું અંતર કાપતા 4 કલાક લાગ્યા.અનેક જગાએ માર્ગમાં પડી ગયેલ ઝાડને દૂર કરવા ગાડીમાંથી ઉતરવું પડયુ હતું.આ પરિસ્થિતિમાં શરીર પણ નીચોવાઈ ગયું છે. આ ઉપરાંત બાજરી અને શાકભાજી, કેરી અને કેળાના પાકોને પણ ભારે નુકસાની પહોંચી છે. હાલ પશુપાલકોને સૂકુ તથા લીલું ઘાસ પણ પલડી જતા પશુપાલકોની ચિંતામાં પણ વધારો થયો છે.
મહત્વનું છે કે જિલ્લામાં કુલ 3455 નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં ખંભાત તાલુકાના ગામોમાંથી 1547 જેટલા અને તારાપુર તાલુકામાં 952, બોરસદ તાલુકામાંથી 661,સોજીત્રા તાલુકામાંથી 123 ,પેટલાદ તાલુકામાંથી 97 અને આણંદ તાલુકામાંથી 75 નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયુ છે. ખંભાત શહેરમાં મોચી ફળિયામાં રહેતા મારવાડી કુટુંબમાં તાઉ-તે એ કલ્પાંત ફેલાવ્યો છે. અહીં ઘર બહાર રમતી બે દીકરીઓ વીજ વાયર પડતા કરંટ લાગતા તડફડી ઉઠી હતી. આ ગમખ્વાર ઘટનામાં એક 10 વર્ષીય બાળકી શિવાની રાજુભાઈ મારવાડીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જ્યારે બીજી દીકરીને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવી છ.