રૂડા વિસ્તારમાં RMCની બાઉન્ડ્રીમાં બનતા રોડની વિઝિટ કરતા ચેરમેન
રાજકોટમાં નિર્માણ પામનાર AIIMS ખાતે પહોંચવા માટે લોકોને સરળતા રહે અને વાહન વ્યવહારની સુવિધા સુદ્રઢ બનાવી શકાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા રોડ બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આજે મ્યુનિ. કમિશનરશ્રી અને રૂડા ચેરમેન અમિત અરોરાએ રૂડા વિસ્તારમાં AIIMS ને જોડતા રોડની, જામનગર રોડથી AIIMS ને જોડતા જંકશનની (નવા રીંગ રોડની શરૂઆત) અને માધાપર ચોકડીથી મોરબી રોડ થઈને AIIMS સુધીના રાજકોટ મહાનગરપાલિકાની બાઉન્ડ્રીમાં બનતા રોડની ચાલુ કામગીરીની વિઝિટ કરી હતી.
મનપાની બાઉન્ડ્રીમાં રોડની કામગીરી હાલ ચાલુ
1. રાજ્ય સરકાર દ્વારા રાજકોટ ખાતે AIIMS હોસ્પીટલની કામગીરીને ધ્યાને લઇ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા AIIMS હોસ્પીટલને જામનગર રોડથી કનેક્ટીવીટી મળી રહે તે માટે રાજકોટ મહાનગર પાલિકાની હદથી AIIMS હોસ્પીટલ સુધીનાં ૯૦.૦મી ડી.પી. રસ્તાની ૬-માર્ગીય રસ્તો બનાવવાની કામગીરી રકમ રૂ.૯.૯૩ કરોડનાં ખર્ચે પ્રગતિમાં છે.
2. રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા AIIMS હોસ્પીટલનાં રોડને મોરબી રોડથી એક વધારાની કનેક્ટીવીટી આપવા માટે જામનગર રોડને સમાંતર ૯૦.૦મી. ડી.પી.રસ્તાને જોડતા ૩૦.૦મી. ડી.પી. રસ્તાની ૪-માર્ગીય રસ્તો બનાવવાની કામગીરી રકમ રૂ. ૪.૯૫ કરોડનાં ખર્ચે પ્રગતિમાં છે તેમજ જામનગર રોડને સમાંતર ખંઢેરી રેલ્વે સ્ટેશન અને પરાપીપળીયા રોડથી ૩૦.૦મી. ડી.પી રસ્તાની બ્રીજ સાથેની કામગીરી રકમ રૂ. ૯.૧૮ કરોડનાં ખર્ચે સત્તામંડળ દ્વ્રારા પ્રગતિમાં છે. ઉક્ત બંને રસ્તાની બ્રીજ સાથેની કામગીરી રકમ રૂ.૨૪.૦૬ કરોડનાં ખર્ચે પ્રગતિમાં છે.
3. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માધાપર ચોકડી થી મોરબી રોડ થઈને AIIMS સુધી જવા માટેનો ૩૦ મીટર પહોળાઈ પૈકી હાલ ૧૮ મીટરનો રોડ બનાવવામાં આવી રહ્યો જેનો અંદાજિત ખર્ચ રૂ. ૮.૮૭ કરોડ છે. આ રોડ પર એક માઈનોર બ્રિજ પણ બનાવવામાં આવશે જેનો અંદાજિત ખર્ચ રૂ. ૪.૫ કરોડ છે જેની ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં કરવામાં આવશે.
કોન્ટ્રક્ટરોને મેનપાવર અને મશીનરી વધારવા તેમજ ઝડપી કામગીરી કરવા સુચના
ઉપરોકત ત્રણેય રોડ પ્રોજેકટ અને એક બ્રીજ પ્રોજેકટની સ્થળ મુલાકાત રૂડાનાં ચેરમેન તથા મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરાએ આજ રોજ કરેલ હતી. મુલાકાત દરમ્યાન તેઓએ રસ્તાની કામગીરીનું બારીકાઈથી નિરિક્ષણ તથા અધિકારીઓનું માર્ગદર્શન કરેલ હતુ. આ સમગ્ર મુલાકાત દરમ્યાન મ્યુનિસિપલ કમિશ્નર સાથે રૂડાનાં મુખ્ય કારોબારી અધિકારી ચેતન ગણાત્રા તથા ડેપ્યુટી કમિશ્નર નંદાણી સાથે જોડાયાં હતા. રોડ બ્રીજ પ્રોજેકટની કામગીરીથી કમિશ્નરને રૂડાનાં ડાયરેકટર(પ્રોજેકટસ) બી.એ.મારૂ તથા RMC સીટી ઈજનેર કોટક દ્વારા વાફેક કરવાયા હતા.
આ સાથે RMC ટાઉન પ્લાનર સાગઠીયા, પી.એ. (ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી વિગેરે સ્ટાફ પણ તેઓની સાથે જોડાયા હતા.ઉકત કામગીરી થયે AIIMS હોસ્પીટલને જામનગર રોડ તથા મોરબી રોડથી કનેકટીવીટી મળી રહેશે. તેમજ ખંઢેરી રેલ્વે સ્ટેશનથી દર્દીઓને AIIMS હોસ્પીટલ સુધી અવર-જવર માટે એપ્રોચ મળી રહેશે, અને જામનગર રોડથી AIIMS હોસ્પીટલને વધારાની કનેકટીવીટી મળી રહેશે. જામનગર રોડના માધાપર ચોકડી પર વધુ પડતા ટ્રાફિકનુ ભારણ ઘટાડી શકાશે.