તમિલાનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતના મૃત્યુ પછી સપ્તાહ બાદ પ્રથમ વખત, તમામ આર્મી કમાન્ડર રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં હશે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે 23 અને 24 ડિસેમ્બરે યોજાનારી આ કાર્યક્રમમાં વર્તમાન પરિસ્થિતિમાં ચીન અને પાકિસ્તાન સાથેની સરહદો પર સુરક્ષાની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે.
8 ડિસેમ્બરના રોજ, તમિલનાડુના કુન્નુરમાં એરફોર્સનું Mi-17 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં CDS જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા અને 12 અન્ય સૈન્ય અધિકારીઓ માર્યા ગયા હતા,બાદમાં હવે પ્રથમ વખત, 23-24 ડિસેમ્બરે યોજાનારી આ બેઠકમાં તમામ સેના કમાન્ડરો એકઠા થશે અને ચીન અને પાકિસ્તાન સાથેની સરહદ પર સુરક્ષા સ્થિતિ પર ચર્ચા કરશે.
સૂત્રોએ જણાવ્યું કે આ દરમિયાન તમામ કમાન્ડરોને સુરક્ષાની સ્થિતિ વિશે પણ જાણકારી આપવામાં આવશે. આમાં, ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. લદ્દાખ અને અરુણાચલ પ્રદેશની સામે તીવ્ર ઠંડી હોવા છતાં ચીને તાજેતરના દિવસોમાં મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કર્યા છે. આ દરમિયાન સેનામાં સુધારા પર પણ ચર્ચા થઈ શકે છે.
આર્મીની ઈસ્ટર્ન, સેન્ટ્રલ અને નોર્ધન કમાન્ડ અરુણાચલ પ્રદેશથી લદ્દાખ સુધીની ચીન સાથેની દેશની સરહદની સુરક્ષા માટે જવાબદાર છે. ઈસ્ટર્ન આર્મી કમાન્ડ ચીન સાથેની સરહદના સૌથી મોટા ભાગની સુરક્ષા સંભાળે છે. સીડીએસ રાવતના નિધન બાદ કેન્દ્ર સરકાર તેમના ઉત્તરાધિકારીની પસંદગી કરવાની પ્રક્રિયામાં છે અને આ માટે સંરક્ષણ મંત્રાલય દ્વારા પગલા લેવામાં આવ્યા છે.