ગુજરાત સરકાર દ્વારા સમાજના આર્થિક રીતે નબળા વર્ગને મદદરૂપ થવાના હેતુ સાથે વિવિધ યોજનાઓ કાર્યરત કરવામાં આવી છે. અનુસૂચિત જાતિના લોકોના વિકાસ માટે માનવ ગરિમા યોજના અંતર્ગત નાનો ધંધો-રોજગાર કરવા ઇચ્છુક વ્યક્તિઓને સ્વરોજગારી અર્થે ધંધા-રોજગાર અનુરૂપ કિટ્સ નિઃશૂલ્ક આપવામાં આવે છે. રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૧-૨૦૨૨ દરમિયાન રાજકોટ જિલ્લાના અનુસૂચિત જાતિના કુલ ૫૩૬ જેટલા લોકોને માનવ ગરિમા યોજનાનો લાભ આપી તેમને વ્યવસાય કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.
માનવ ગરિમા યોજના હેઠળ કુલ ૨૮ પ્રકારના વ્યવસાય માટે ટૂલ કિટ્સ આપવામાં આવે છે. જેમાં કડીયાકામ, સેન્ટીંગકામ, વાહન સર્વિસીંગ અને રીપેરીંગ, મોચીકામ, દરજીકામ, ભરતકામ, કુંભારીકામ, વિવિધ પ્રકારની ફેરી, પ્લમ્બર, બ્યુટી પાર્લર, ઇલેક્ટ્રીક એપ્લાયન્સીસ રીપેરીંગ, ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ, સુથારીકામ, ધોબીકામ, સાવરણી-સુપડા બનાવનાર, દુધ-દહીં વેચનાર, માછલી વેચનાર, પાપડ બનાવટ, અથાણા બનાવટ, ગરમ-ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ, પંચર રીપેરીંગ, ફ્લોર મીલ, મસાલા મીલ, મોબાઇલ રીપેરીંગ, હેર કટીંગ (વાળંદ કામ)નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજનાનો લાભ લેવા માટે https://esamajkalyan.gujarat.gov.in પર અરજી કરી શકાય છે.
આ પણ વાંચો : પોરબંદરથી પશ્ચિમ દિશામાં 580 કિમી દૂર સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું : સમુદ્ર તોફાની થવાની શક્યતા