સુપ્રીમ કોર્ટેએ એક મહત્વનો ચુકાદો આપ્યો છે, હવે માતા પોતાના સંતાનની અટક નક્કી કરી શકશે. પિતાના મૃત્યુ પછી બાળકના કુદરતી વાલી હોવાને કારણે માતાને અટક નક્કી કરવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટે આંધ્રપ્રદેશ હાઈકોર્ટના નિર્ણયને બાજુ પર રાખતા આ ટિપ્પણી કરી હતી. હાઈકોર્ટે તેના ચુકાદામાં મહિલાને તેના બીજા પતિનું નામ સાવકા પિતા તરીકે દસ્તાવેજોમાં નોંધવાનો નિર્દેશ આપ્યો હતો. ન્યાયાધીશ દિનેશ મહેશ્વરી અને કૃષ્ણ મુરારીની બેન્ચે અવલોકન કર્યું કે દસ્તાવેજોમાં સાવકા પિતા તરીકે મહિલાના બીજા પતિનું નામ સામેલ કરવાનો હાઈકોર્ટનો નિર્દેશ લગભગ ક્રૂર છે અને તે હકીકતની અવગણના દર્શાવે છે કે તેનાથી મહિલાના માનસિક સ્વાસ્થ્ય અને આત્મસન્માનને અસર થાય છે.
કોર્ટે કહ્યું કે માતા, બાળકની એકમાત્ર કુદરતી વાલી હોવાને કારણે, બાળકની અટક નક્કી કરવાનો અધિકાર ધરાવે છે . સર્વોચ્ચ અદાલત અગાઉ તેના પતિના મૃત્યુ પછી પુનઃલગ્ન કરનાર માતા અને બાળકના મૃત જૈવિક પિતાના માતા-પિતા વચ્ચે બાળકની અટકને લગતા કેસની સુનાવણી કરી રહી હતી.
ખંડપીઠે પૂછ્યું કે માતા, તેના પ્રથમ પતિના મૃત્યુ પછી બાળકની એકમાત્ર કુદરતી વાલી હોવાને કારણે, બાળકને તેના નવા પરિવારમાં ઉમેરવા અને અટક નક્કી કરવા માટે કાયદેસર રીતે કેવી રીતે રોકી શકાય. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે નામ મહત્વનું છે, કારણ કે બાળક તેની ઓળખ તેના પરથી મેળવે છે અને તેના નામ અને કુટુંબના નામમાં તફાવત દત્તક લેવાની હકીકતની સતત યાદ અપાવે છે. આવી સ્થિતિમાં, બાળકને બિનજરૂરી પ્રશ્નોનો સામનો કરવો પડશે, જે તેના માતાપિતા વચ્ચેના સુગમ અને કુદરતી સંબંધોને અવરોધે છે