મોદી સરકારે ભારત રત્ન પુરસ્કારને લઈને મોટી જાહેરાત કરી છે. મોદી સરકારે દેશના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ, પીવી નરસિમ્હા રાવ અને ડો. સ્વામીનાથનને ભારત રત્ન પુરસ્કારથી સમ્માનિત કરવાની જાહેરાત કરી છે. ખુદ પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી.
પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું, ‘આ અમારી સરકારનું સૌભાગ્ય છે કે દેશના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ જીને ‘ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. આ સન્માન દેશ માટે તેમના અજોડ યોગદાનને સમર્પિત છે.
ચૌધરી ચરણ સિંહ
દેશના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહને ભારતના સર્વોચ્ચ પુરસ્કાર’ભારત રત્ન’ પુરસ્કારથી સમ્માનિત કરાશે. આ અંગે પીએમ મોદીએ ટ્વીટ કરી લખ્યું કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હોય કે દેશના ગૃહમંત્રી અને ધારાસભ્ય તરીકે પણ તેમણે હંમેશા રાષ્ટ્ર નિર્માણને પ્રોત્સાહન આપ્યું છે. તેઓ ઈમરજન્સી સામે પણ મક્કમતાથી ઊભા રહ્યા. અમારા ખેડૂત ભાઈઓ અને બહેનો પ્રત્યેનું તેમનું સમર્પણ અને ઈમરજન્સી દરમિયાન લોકશાહી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા સમગ્ર દેશ માટે પ્રેરણાદાયી છે. જાટ પરીવારમાં જન્મેલ ચૌધરી ચરણ સિંહે સ્વતંત્રતા સમયે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. દેશ આઝાદ થયા બાદ તેઓ રામ મનોહર લોહિયાની ગ્રામીણ સુધારણા ચળવળમાં સામેલ થયા. ખેડૂત પરીવારમાં જન્મ થયો હોવાથી બાળપણથી જ ચૌધરી ચરણસિંહ ખેડૂતોની મુશ્કેલીઓને નજર સમક્ષ નિહાળી છે. આથી જ તેમણે ખેડૂતોના થતા શોષણ સામે હંમેશા અવાજ ઉઠાવ્યો છે. આઝાદી બાદ 1979માં સમાજવાદી પક્ષો અને કોંગ્રેસના સમર્થનથી 28 જુલાઈના રોજ વડાપ્રધાન બન્યા હતા.
પીવી નરસિમ્હા રાવ
ભૂતપૂર્વ વડા પ્રધાન પીવી નરસિમ્હા રાવને ‘ભારત રત્ન’ પુરસ્કારથી સમ્માનિત કરાશે તેમ કેન્દ્ર સરકાર દ્વારા આજે જાહેરાત કરવામાં આવી. 1991 માં, જ્યારે ભારત વિદેશી અનામતની કટોકટીનો સામનો કરી રહ્યું હતું, ત્યારે નરસિમ્હા રાવની સરકારે ત્રણ મોટા-મોટા આર્થિક સુધારા લાવ્યા – વૈશ્વિકીકરણ, ઉદારીકરણ અને ખાનગીકરણ. પીવી નરસિમ્હા રાવને ભારતમાં આર્થિક ઉદારીકરણના જનેતા કહેવામાં આવે છે. 1991માં ભારતમાં આર્થિક સુધારા લાવવાનો શ્રેય કોંગ્રેસના આ દિગ્ગજ નેતાના ફાળે જાય છે, જેણે દેશના આર્થિક પુનરુત્થાનનો માર્ગ મોકળો કર્યો હતો. આજે પીએમ મોદીએ ટ્વીટ કરી ભારતના સર્વોચ્ચ સમ્માન પુરસ્કાર ભારત રત્નની જાહેરાત કરતા ભારતને આર્થિક રીતે ઉન્નત બનાવવામાં તેમના યોગદાનને સ્વીકાર્યું. એક પ્રતિષ્ઠિત વિદ્વાન અને રાજનેતા તરીકે, નરસિમ્હા રાવએ વિવિધ ક્ષમતાઓમાં ભારતની વ્યાપક સેવા કરી છે. તેમણે કરેલા કાર્યો માટે તેમને સમાન રીતે યાદ કરવામાં આવે છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે, કેન્દ્રીય મંત્રી તરીકે અને ઘણાં વર્ષો સુધી સંસદ અને વિધાનસભાના સભ્ય તરીકે તેમના દૂરંદેશી નેતૃત્વએ ભારતને આર્થિક રીતે ઉન્નત બનાવવામાં, દેશની સમૃદ્ધિ અને વિકાસ માટે મજબૂત પાયો નાખવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વડાપ્રધાન તરીકે નરસિમ્હા રાવ ગારુનો કાર્યકાળ નોંધપાત્ર પગલાંઓ દ્વારા ચિહ્નિત કરવામાં આવ્યો હતો જેણે ભારતને વૈશ્વિક બજારો માટે ખોલ્યું હતું, આર્થિક વિકાસના નવા યુગને પ્રોત્સાહન આપ્યું હતું.
ડૉ. સ્વામીનાથન
દેશમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત કરનાર ડૉ. સ્વામીનાથનને ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’ પુરસ્કારથી સન્માનિત કરાશે. દેશને ખાદ્ય ઉત્પાદનમાં આત્મનિર્ભરતા તરફ લઈ જવામાં તેમની મહત્વની ભૂમિકા રહી છે. પીએમ મોદીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે ડૉ. સ્વામીનાથને પડકારજનક સમયમાં ભારતને કૃષિમાં આત્મનિર્ભરતા હાંસલ કરવામાં મદદ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને ભારતીય કૃષિને આધુનિક બનાવવા માટે ઉત્કૃષ્ટ પ્રયાસો કર્યા હતા. 7 ઓગસ્ટ, 1925ના રોજ તામિલનાડુના કુમ્બકોનમમાં જન્મેલા ડૉ. સ્વામીનાથનની ખેતીની સફર 1943ના વિનાશક બંગાળના દુષ્કાળના સાક્ષી બન્યા પછી શરૂ થઈ હતી. તેઓ ખેડૂતોના અધિકારો અને કલ્યાણના પ્રખર હિમાયતી હતા. ખેડૂત આયોગના અધ્યક્ષ તરીકે, તેમણે રાષ્ટ્રીય ખેડૂત કલ્યાણ નીતિ ઘડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને ખેડૂતોને તેમની આર્થિક સદ્ધરતા સુનિશ્ચિત કરીને MSP +50% ખેતી ખર્ચ +C2 ચૂકવવા જેવા પગલાંની ભલામણ કરી હતી.
આ પણ વાંચો :uttarakhand/હલ્દવાણીમાં બબાલ વધી, આગચંપી વચ્ચે કર્ફ્યુ, જોતાં જ ગોળી મારવાનો આદેશ
આ પણ વાંચો :uttarakhand/હિંસા બાદ હલચલ તેજ, CM ધામીએ દેહરાદૂનમાં બોલાવી બેઠક