@Nikunj Patel
Uttarakhand News: ઉત્તરાખંડનાં હલ્દવાનીમાં એક મદરેસાને તોડી પડાયા બાદ અહીં હિંસા ફેલાઈ ગઈ હતી. એકઠા થયેલા ટોળાએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું. એટલું જ નહી પોલીસકર્મીઓ પર પથ્થરમારો કરીને આગ ચાંપી દીધી હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે તોફાનીઓને ગોળી મારવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
હિંસાના ત્રણ દિવસમાં અત્યાર સુધીમાં છ જણનાં મોત નિપજ્યા છે. 300 પોલીસકર્મીઓ અને નિગમના કર્મચારીઓ ઘાયલ છે. ઈન્ટરનેટ બંધ છે અને હલ્દવાનીમાં કરફ્યુ લગાવાયો છે. આજે 10 ફેબ્રુઆરીએ કરફ્યુ હટાવાની શક્યતા છે.
ઉત્તરાખંડમાં હલ્દવાની નામનું એક શહેર છે. આ શહેરમાં બનભુલપુરા નામની જગ્યા પર એક માલિકનો બગીચો છે. અહીં એક મસ્જિદ અને એક મદરેસા બનેલા છે. 30 જાન્યુઆરી 2024ના રોજ નગર નિગમની ટીમે આ મસ્જિદને ગેરકાયદે ગણાવીને એક નોટીસ ઈસ્યુ કરી હતી. આ નોટીસમાં મસ્જિદ અને મદરેસાને ખાલી કરવા માટે 3 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. 3 દિવસ બાદ આ મદરેસાને ખાલી કરવા માટે એક ટીમ મસ્જિદ કેમ્પસમાં પહોંચી હતી.
મસ્જિદ પહોંચ્યા બાદ ટીમને સ્થાનિક લોકોએ 2007નો કોર્ટનો આદેશ બતાવ્યો હતો. ત્યારબાદ મસ્જિદ તોડવા પહોંચેલી ટીમને અહીંથી પરત આવવું પડ્યું હતું. હાઈકોર્ટમાં 8 ફેબ્રુઆરીના રોજ સવારે આ મામલે સુનાવણી થઈ હતી. કોર્ટે તેને તોડવાના આદેશ પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો.
નૈનીતાલ ડીએમ વંદનાસિંહના જણાવ્યા મુજબ, મદરેસા અને મસ્જિદ જે જમીન પર બની છે તે સરકારી છે. બન્ને ઈમારત ખાલી સંપત્તિ પર બની છે અને આ ઈમારતો ધાર્મિક સંરચનાની જેમ ક્યાંય રજીસ્ટર્ડ નથી. સરકારી કાગળો પર જમીનનો કોઈ રેકોર્ડ મળતો નથી. જેને પગલે તેની પર બનેલા મદરેસા અને મસ્જિદના ગેરકાયદે બાંધકામને તોડી પડાયુ હતું.
લોકલ પ્રશાસનની નોટીસ મળ્યા બાદ સ્થાનિક લોકોએ કાર્યવાહી પર રોક લગાવવા માટે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. 6 ફેબ્રુઆરીએ સાફિયા મલિક અને અન્યો તરફથી હલ્દવાની નગર નિગમ તરફથી આપવામાં આવેલી નોટીસને પડકારવામાં આવી હતી.
સાફિયા મલિક તરફથી કહેવામાં આવ્યું હતું કે, તેની પાસે જમીન 1937થી લીઝ પર છે. આ લીઝ તેને જમીન પર કબ્જા રાખનારા પરિવાર તરફથી વારસામાં મળેલી છે. લીઝને રિન્યુ કરવાની અરજી જીલ્લા પ્રશાસન પાસે પેન્ડીંગમાં પડી છે. સરકાર આ જમીન પર કબજો કરી ન શકે.
જોકે કોર્ટે અરજકર્તાઓને કોઈ પણ પ્રકારની રાહત આપી નથી. ત્યારબાદ પ્રશાસને ગેરકાયદે બાંધકામ પર કાર્યવાહી કરી હતી. આ કેસની આગળની સનાવણી 14 ફેબ્રુઆરીના રોજ થશે. હિંસા સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ કરતા હલ્દવાનીના ડીએમ વંદનાસિંહે કહ્યું કે કાર્યવાહી કરતી વખતે અમારી ટીમે કોઈને ઉશ્કેરવાનું કામ કર્યું ન હતું. કોઈ ફોર્સનો ઉપયોગ કરાયો ન હતો. અડધા કલાકમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા અને પથ્થરમારો શરૂ કરી દીધો હતો. થોડા સમયમાં ચારે બાજુઓથી પથ્થરમારો થયો હતો. પ્રદર્શનકારીઓએ આ બધુ પ્લાનિંગ સાથે કર્યું હતું કે ડિમોલિશન વખતે કાર્યવાહી થશે તો અમે હુમલો કરીશું અને પોલીસને ડિમોરલાઈઝ કરવાનો પ્રયાસ કરીશું.
આ પણ વાંચો:INDIA Alliance/પંજાબમાં કોંગ્રેસ સાથે ચૂંટણી નહીં લડે કેજરીવાલની AAP, ઇન્ડિયા ગઠબંધનને વધુ એક આંચકો
આ પણ વાંચો:India Canada news/ભારત અને કેનેડા વચ્ચે વેપાર સંબંધ મજબૂત બનાવવાનો પ્રયાસ, ICCC પ્રતિનિધિમંડળ ભારતની મુલાકાતે
આ પણ વાંચો:Odisha/ઓડિશા : સરકારી નોકરી અપાવવાના બહાને લોકો સાથે 25 લાખ રૂપિયાની છેતરપિંડી, એક શખ્સની કરાઈ ધરપકડ