પ્રખ્યાત લેખિકા અને ઇન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિની પત્ની સુધા મૂર્તિને રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. પીએમ મોદીએ ખુદ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. સુધા મૂર્તિએ રાજ્યસભા માટે નામાંકિત થવા પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે તે હાલ ભારતમાં નથી. પરંતુ મહિલા દિવસ પર તેમના માટે આ એક મોટી ભેટ છે. દેશ માટે કામ કરવું એ નવી જવાબદારી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. જણાવી દઈએ કે સુધા મૂર્તિ ઈન્ફોસિસ ફાઉન્ડેશનના પ્રમુખ પણ છે. 74માં પ્રજાસત્તાક દિવસના અવસર પર તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું, ‘મને ખુશી છે કે ભારતના રાષ્ટ્રપતિએ સુધા મૂર્તિજીને રાજ્યસભા માટે નામાંકિત કર્યા છે. સામાજિક કાર્ય, પરોપકાર અને શિક્ષણ સહિત અનેક ક્ષેત્રોમાં સુધાજીનું યોગદાન અજોડ અને પ્રેરણાદાયી રહ્યું છે. રાજ્યસભામાં તેણીની હાજરી એ આપણી ‘મહિલા શક્તિ’નો એક શક્તિશાળી પ્રમાણપત્ર છે, જે આપણા દેશના ભાગ્યને ઘડવામાં મહિલાઓની શક્તિ અને સંભવિતતાનું ઉદાહરણ આપે છે. હું તેમને સફળ સંસદીય કાર્યકાળની શુભેચ્છા પાઠવું છું.
પતિને કંપની શરૂ કરવા કરી મદદ
જણાવી દઈએ કે સુધા મૂર્તિ ઈન્ફોસિસ ફાઉન્ડેશનની પ્રેસિડેન્ટ હોવાની સાથે સાથે પ્રખ્યાત લેખિકા પણ છે. તેમણે ઘણા પ્રેરણાત્મક પુસ્તકો લખ્યા છે. તેમણે BVB કૉલેજ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી (હવે KLE ટેક્નોલોજીકલ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે)માંથી ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ કર્યું છે. 1974માં પોસ્ટ ગ્રેજ્યુએશન દરમિયાન તેમના વિભાગમાં એકમાત્ર છોકરી હતી. સુધા મહિલાઓ અને બાળકો માટે સતત કામ કરતા રહ્યા છે.
સુધામૂર્તિ એક ટીવી શોમાં જણાવ્યું હતું કે પૈસાની તંગીના કારણે એક સમયે તેઓ ભાડાના મકાનમાં રહેતા હતા. અને 1981માં તેમના પતિ એનઆર નારાયણ મૂર્તિને કંપની શરૂ કરવા 10,000 રૂપિયાની લોન આપી હતી. બાદમાં ધીરે-ધીરે ઈન્ફોસિસની પ્રગતિ થવા લાગી અને આજે એક મોટી કંપની બની છે.
પ્રખ્યાત લેખિકા અને ઇન્ફોસિસ ફાઉન્ડેશનના ચેરપર્સન સુધા નારાયણ મૂર્તિને બે બાળકો છે. તેમની પુત્રી અક્ષતા મૂર્તિ વર્તમાન બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકની પત્ની છે. અક્ષતા બ્રિટનમાં રહેતી ભારતીય ફેશન ડિઝાઇનર તરીકે પણ ઓળખાય છે. તે જ સમયે, તેમના પુત્ર રોહન મૂર્તિ અમેરિકા સ્થિત સોફ્ટવેર ડેવલપમેન્ટ ફર્મ સોરોકોના સ્થાપક છે. આ ઉપરાંત, રોહન મૂર્તિ દ્વારા ભારતમાં મૂર્તિ ક્લાસિકલ લાઇબ્રેરીની પણ સ્થાપના કરવામાં આવી છે, જે અમેરિકન સંસ્કૃત વિદ્વાન શેલ્ડન પોલોકની આગેવાની હેઠળની ક્લે સંસ્કૃત લાઇબ્રેરી પ્રોજેક્ટનો એક ભાગ છે. તેમની પત્ની અપર્ણા કૃષ્ણન વિશે વાત કરીએ તો, તે નિવૃત્ત નેવી ઓફિસર કે આર કૃષ્ણન અને ભૂતપૂર્વ બેન્કર સાવિત્રી કૃષ્ણનની પુત્રી છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ