કોવિશીલ્ડ વિવાદ બાદ ભારત સરકારના કોવિન સર્ટિફિકેટમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો દૂર કરવામાં આવ્યો છે. કોરોના સમયે અપાતી આ વેક્સિનના સર્ટિફિકેટમાં અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટાને ખાસ સ્થાન આપવામાં આવ્યું હતું. તે સમયે પણ આ બાબતને લઈને વિવાદ થયો હતો અને કોર્ટમાં આ મામલાની સુનાવણી કરવામાં આવી હતી. કોવિન સર્ટિફિકેટમાં ક્યુઆર કોડની બાજુમાં પીએમ મોદીના ફોટાને ખાસ સ્થાન આપતા બાજુમાં લખાયું હતું ‘દવાઈ ભી ઔર કડાઈ ભી’ ‘Together, India will defeat COVID-19’-પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. આરોગ્ય મંત્રાલયે કોવિશીલ્ડ રસીના વિવાદ બાદ કોવિન સર્ટિફિકેટ પરથી પીએમ મોદીની તસવીર હટાવી દીધી છે. આ મામલે સ્વાસ્થ્ય મંત્રાલયે ખુલાસો આપતા જણાવ્યું કે ચૂંટણી આચારસંહિતાના પગલે વેક્સિનેશન સર્ટિફિકેટ પરથી પીએમ મોદીની તસવીર હટાવવામાં આવી છે. જણાવી દઈએ કે દેશમાં અત્યારે લોકસભા ચૂંટણીનો માહોલ છે. ચૂંટણીમાં બે તબક્કામાં મતદાન થઈ ગયું છે.
પીએમ મોદીની તસવીર કરાઈ દૂર
મહત્વનું છે કે એવું પ્રથમ વખત નથી બન્યું જ્યારે વેકસીનના સર્ટિફિકેટમાંથી પીએમ મોદીની તસવીર દૂર કરવામાં આવી હોય. અગાઉ વર્ષ 2022માં વિધાનસભા ચૂંટણી દરમ્યાન ચૂંટણીપંચના આદેશ બાદ વેક્સીન સર્ટિફિકેટ પરથી તેમની તસવીર દૂર કરવામાં આવી હતી. કોરોના સમયે પણ વેકસીન સર્ટિફિકેટ પર પીએમ મોદીની તસવીરને લઈને વિવાદ થયો હતો. આ વિવાદ કેરળની કોર્ટ સુધી પંહોચ્યો હતો. અરજદારે દલીલ કરી હતી કે અન્ય કોઈ દેશમાં આ રીતે વડાપ્રધાનનો ફોટો છાપવામાં આવતો નથી. જેના જવાબમાં ન્યાયાધીશે કહ્યું કે તેમને તેમના વડાપ્રધાન પર ગર્વ નહી હોય, પરંતુ આપણને આપણા વડાપ્રધાન પર ગર્વ છે.
કંપનીની કબૂલાત
કોરોના સમયે ભારત સરકાર તરફથી લોકોને કોવિશીલ્ડ વેક્સિન ફ્રીમાં આપવામાં આવી હતી. હાલમાં કોવિશીલ્ડ રસી બનાવનાર યુકે સ્થિત કંપની એસ્ટ્રાઝેનેકાની કબૂલાતથી વિશ્વભરમાં ઉહાપોહ મચ્યો છે. બ્રિટનની એક કોર્ટમાં કંપનીએ કબૂલાત કરી કે તેની રસીથી આડઅસરનો જોખમ છે. જો કે સાથે કંપનીએ એમ પણ કહ્યું કે જોખમકારક સ્થિતિ કેટલાક કિસ્સામાં જ જોવા મળી શકે છે. કંપનીની આ કબૂલાત બાદ કોવિશીલ્ડ વેક્સીનના વિવાદે દેશભરમાં ચર્ચા જગાવી છે. એકબાજુ ચૂંટણીના માહોલ છે ત્યારે કોવિશીલ્ડ વિવાદ વધુ ઉગ્ર સ્વરૂપ લે તે પહેલા સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોવિન સર્ટિફિકેટ પરથી પીએમ મોદીની તસવીર દૂર કરવાનું પગલું લીધું છે.
કોવિશીલ્ડ વિવાદ
લોકસભા ચૂંટણીમાં ભાજપ જોરશોરથી પ્રચાર કરી રહી છે. પરંતુ એસ્ટ્રાઝેનેકાએ તેમના આ પ્રચારમાં ભંગ પાડ્યો છે. એસ્ટ્રાઝેનેકાએ તેમની રસીથી આડઅસરનું જોખમ હોવાનો સ્વીકાર કર્યો. જેના બાદ લોકોમાં કોવિશીલ્ડ રસીથી કેવા પ્રકારની આડઅસર થઈ રહી છે તેને લઈને ચર્ચા કરવામાં આવી. દેશમાં રસીકરણ અભિયાન બાદ લોકોમાં હાર્ટએટેકથી મોત થવાના કિસ્સા વધવા પાછળનું કારણ કોરોના વેકસીન માનતા હતા. અને હવે કંપનીએ તેની રસીથી આડઅસરો થતી હોવાનું સ્વીકાર કરતા લોકોમાં ડર અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. કોવિશિલ્ડ વેક્સિન શૉટ લીધા પછી મૃત્યુ પામનાર મહિલાના માતાપિતાએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (SII) સામે દાવો કરવાનો નિર્ણય કર્યો છે. ભારતમાં કોવિશિલ્ડ બ્રાન્ડ નામ હેઠળ એસ્ટ્રાઝેનેકાની કોવિડ-19 રસીનું ઉત્પાદન કરતી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (SII)પણ હવે શંકાના દાયરામાં છે.
આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરીની લોકસભા બેઠકની ચૂંટણીની તારીખોમાં કરાયો ફેરફાર
આ પણ વાંચો:હેમંત સોરેનની જમાનત અરજી પર આજે PMLA કોર્ટમાં થશે સુનાવણી, જમીન કૌભાંડ કેસ સંબંધિત વિવાદ
આ પણ વાંચો:બંનેમા વાસના હતી, પરંતુ માત્ર છોકરો બલિનો બકરો બન્યો,POCSO કેસમાં હાઈકોર્ટે આ શું કહ્યું ?