Rajkot News: રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડની (Rajkot Gaming Zone Fire) કરુણાંતિકામાં 28 મૃતદેહોની ઓળખ ડીએનએ ટેસ્ટથી કરવામાં આવશે. દેશમાં પહેલી જ વખત આવી ઘટના બની છે જેમા આટલા બધા મૃતદેહોની ઓળખ ડીએનએ (DNA) ટેસ્ટથી કરવામાં આવશે. તેની પાછળનું કારણ એ છે કે રાજકોટ ગેમિંગ ઝોનના અગ્નિકાંડનો ભોગ બનેલાઓના મૃતદેહ પણ મળ્યા નથી, લોહીનું એક ટીપુ સુદ્ધા પણ મળ્યું નથી. ફક્ત રાખ મળી છે અને અવશેષો મળ્યા છે.
અત્યાર સુધી ગાંધીનગરમાં આવેલા 32 સેમ્પલમાંથી 13 મૃતદેહ ઓળખાયા છે. ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીઝ (FSL)માં કામ ચાલી રહ્યુ છે. માનવ અંગોમાંથી 32 ટિસ્યુ લેવાયા છે. મેચ કરવા માટે સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સેમ્પલ માટે એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવાયો છે. ફોરેન્સિક સાયન્સ લેબમાં ડીએનએ ટેસ્ટમાં આઠ પ્રક્રિયા હોય છે અને તે પૂરી થયા પછી આ અંગેનો નિર્ણય લેવાય છે.
DNA સેમ્પલથી ફાઈનલ રીપોર્ટ સુધી કુલ આઠ તબક્કામાં આ કામગીરી કરવાની હોય છે. જે દરેક તબક્કામાં નમુનાના પ્રકારના આધારે પરીક્ષણનો સમયગાળો નક્કી કરાતો હોય છે. ડીએનએ પરીક્ષણમાં પ્રથમ તબક્કામાં કેસને પરીક્ષણ માટે નમૂનાઓના એનાલિસિસ માટે ખોલવા માટેની કેસ ઓપનિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, જેમાં અંદાજીત છ થી સાત કલાક સમય લાગે છે. દ્વિતીય તબક્કામાં નમૂનાઓમાંથી DNA એક્સ્ટ્રેક્ટ કરવામાં આવે છે, જેમાં પણ અંદાજીત છ થી સાત કલાક સમય જાય છે. ત્રીજા તબક્કામાં DNAની ક્વોન્ટિટી અને ક્વોલિટી ચેક કરવામાં આવે છે, જેમાં અંદાજીત ત્રણ થી ચાર કલાક સમય લાગે છે.ત્યારબાદ ચોથા તબક્કા હેઠળ DNA નમૂનાઓનું પી.સી.આર એટલે કે, DNA સંવર્ધનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, જેમાં આશરે ત્રણ થી ચાર કલાક સમય લાગે છે.
પાંચમા તબક્કામાં DNA પ્રોફાઈલીંગ કરવામાં આવે છે, જે અંદાજે આઠ થી નવ કલાક સમય લે છે. છઠ્ઠા તબક્કા હેઠળ મેળવેલ DNA પ્રોફાઈલનું એનાલિસિસ કરવામાં આવે છે, જેમાં બે થી ત્રણ કલાક સમય લાગે છે.આ ઉપરાંત સાતમાં તબક્કામાં એનાલિસિસ થયેલા નમૂનાઓનું ઈન્ટરપ્રીટેશન કરવામાં આવે છે, જેમાં અંદાજીત છ થી સાત કલાક સમય લાગે છે તેમજ અંતિમ અને આઠમાં તબક્કા હેઠળ DNA રીપોર્ટ તૈયાર કરવામાં આવે છે, જેમાં અંદાજીત ત્રણ થી પાંચ કલાક સમય લાગે છે, તેમ ફોરેન્સિક નિષ્ણાતે જણાવ્યું હતું. હાલમાં એફએસએલની 18 સભ્યોની ટીમ કામ કરી રહી છે.
આ પણ વાંચો: આવા અકસ્માતો થતા રહે છે…જ્યારે રાજકોટ ગેમ ઝોનના માલિકે કોર્ટમાં હસવા લાગ્યો..
આ પણ વાંચો: રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડમાં 800 ડિગ્રી તાપમાને લોકો જીવતા ભૂંજાયા
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલી નાખતુ રેમલ વાવાઝોડું, જુનના પહેલા સપ્તાહથી આવશે વરસાદ