Rajkot News: રાજકોટમાં TRP ગેમ ઝોનમાં લાગેલી આગમાં 28 જેટલાં લોકોએ જીવ ગુમાવ્યો છે. મૃતકોમાં નાના બાળકોથી લઈને યુવાનોનો પણ સમાવેશ થાય છે. જેઓ પોતાની રજા માણવા માટે અહીં આવ્યા હતા. TRP ગેમ ઝોનમાં લાગેલી આગની દુર્ઘટનાથી રાજ્યભરમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટનાને લઈને રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર પર નિશાન સાધ્યું છે.
રાજકોટના કાલાવડ રોડ પર નાના મવા વિસ્તારમાં શનિવારે સાંજે TRP ગેમ ઝોનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટના સંદર્ભે રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ મૃતકોની સંખ્યામાં વિસંગતતા પર સવાલો ઉઠાવીને સ્થાનિક તંત્રને ઘેરી લીધું છે. પરેશ ધાનાણીએ આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ‘રાજકોટ આગની ઘટના તરફ હું સરકારનું ધ્યાન દોરવા માંગુ છું. મૃતકોની સત્તાવાર સંખ્યા 28 પર રોકવામાં આવી છે અને સત્ય છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અને એવો અંદાજ છે કે બે દિવસમાં સત્તાવાર અથવા બિનસત્તાવાર રીતે 44 મૃતદેહો અથવા તેમના અવશેષો મળી આવ્યા છે.’
પરેશ ધાનાણીએ કહ્યું કે, 3000 ડિગ્રી તાપમાન હોવાનું SITએ પણ સ્વીકાર્યુ છે. ઉંચા તાપમાનને કારણે નાના ભૂલકાઓના શરીર અને અવશેષો પણ ખાખ થઇ ગયા હશે. ઘણા પરિવારોને પોતાના સ્વજનોના અસ્થિઓ પણ નહીં મળે. શું સરકાર અસ્થિઓના વિસર્જન માટેનો મોકો પણ નહીં આપે?”
ગુમ થયેલા લોકો વિશે વાત કરતા કોંગ્રેસ નેતાએ કહ્યું કે ગુમ થયેલા લોકોના પ્રકાશિત આંકડાઓમાં વિસંગતતા છે. તેમની હોસ્પિટલોમાં કેટલા મૃતદેહો લાવવામાં આવ્યા હતા, કેટલાનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને વૈજ્ઞાનિક સંશોધન માટે કેટલા નમૂના લેવામાં આવ્યા હતા તેનો ડેટા સિવિલ સર્જન, એઈમ્સના અધિકારીઓ કે ખાનગી હોસ્પિટલો દ્વારા આજદિન સુધી પ્રકાશિત કરવામાં આવ્યો નથી.
પરેશ ધાનાણીએ કહ્યું કે, ગેમઝોનની આસપાસના સીસીટીવી પોલીસે કબ્જે લેવા જોઇએ, બિન વારસી પડેલા વાહનો અંગે પણ તપાસ કરવી જોઇએ. 99 રૂપિયાની સ્કીમ હોવાને કારણે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો મોટી સંખ્યામાં ગેમઝોનમાં હતા. ગેમ ઝોનના કર્મચારીઓ કેટલા હાજર હતા તેમની માહિતી પણ જાહેર કરવી જોઇએ.
આ ઉપરાંત કોંગ્રેસના ઉમેદવારે વધુમાં જણાવ્યું હતું કે, ‘જ્યારે આ અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવે છે ત્યારે સિવિલ હોસ્પિટલના સર્જન પોલીસ કમિશનર અને કલેક્ટર પાસે જવાનું કહે છે, કલેક્ટર તેને પોલીસ કમિશનરને અને પોલીસ કમિશનર સિવિલ સર્જન જોડે જવાનું કહે છે. , મને લાગે છે કે આ ત્રણ વિભાગો એકબીજા સાથે સંતાકૂકડીની રમત રમીને સત્યને વહેંચે છે. ગુમ થયેલા લોકોના સત્તાવાર રીતે પ્રકાશિત ડેટા દર્શાવે છે કે પોલીસ વિભાગ દ્વારા 28 લોકો ગુમ થયાની જાણ કરવામાં આવી છે, જ્યારે કલેક્ટર વિભાગ દ્વારા 33 લોકો ગુમ થયાની જાણ કરવામાં આવી છે.
પરેશ ધાનાણીએ અંતમાં કહ્યું હતું કે ‘આ મોતના તાંડવા માટે મોકળુ મેદાન આપનારા તમામના નામ એફઆરઆઈમાં નોંધવા જોઈએ અને તેમને જેલમાં ધકેલી દેવા જોઈએ, ન્યાયના કઠઘરામાં અદપ વાડીને ઉભા રહેવા જોઈએ અને જે કોઈએ ગુનો કર્યો છે એ તમામ લોકોને ખુલ્લા પાડવા જોઈએ, પણ કમનસીબે સરકારે માછલા મારીને સંતોષ વ્યક્ત કર્યો છે. મોટા માથાઓની માત્ર બદલી કરીને લોકોને ગુસ્સાને શાંત પાડવાની કોશિશ કરી છે. પણ આ બદલી પ્રયાપ્ત પગલા નથી.’
આ પણ વાંચો: હાઈકોર્ટના તંત્રને વેધક સવાલો, ‘રાજ્યની મશીનરી ઉપર ભરોસો નથી’
આ પણ વાંચો: ગુજરાત છે ‘જ્વલનશીલ’, પાંચ વર્ષમાં આગે લીધો 3,176નો ભોગ
આ પણ વાંચો: રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડઃ સીએમ ભુપેન્દ્ર પટેલ લાલઘૂમ, છ અધિકારી સસ્પેન્ડ
આ પણ વાંચો: TRP ગેમિંગ ઝોનમાં માંડ મહિના પહેલા નોકરીએ લાગેલા બે કર્મચારીના મૃતદેહની ઓળખ થઈ