Gujarat News: ગુજરાત રાજ્યમાં IPS અને IAS અધિકારીઓની લાંબા સમયથી રાહ જોવાતી બદલી-બઢતીની પ્રક્રિયાને આખરે અમલમાં મૂકવામાં આવી છે. રાજ્ય સરકારે એક જ દિવસે 116 IPS અધિકારીઓ અને કેટલાંક IAS અધિકારીઓની બદલી-બઢતીના હુકમો જારી કરતાં પોલીસ વિભાગમાં મોટાપાયે ફેરફાર થયો છે. IPS અધિકારીઓની આ બદલી શ્રાવણ માસના અંતિમ સોમવારે જાહેર કરવામાં આવી હતી.
IPS અધિકારીઓમાં મોટાપાયે ફેરફાર
આ ઓર્ડરમાં કુલ 25 જિલ્લાનાં SP અને ચાર મોટા શહેરોના 32 DCP કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી અને અધિક મુખ્ય સચિવ (ગૃહ) વિભાગે સંયુક્ત રીતે આ નિર્ણય કર્યો છે.
2019-20 બેચના યુવા અધિકારીઓને શહેરના ઝોનમાં મહત્વપૂર્ણ પોસ્ટિંગ મળ્યું છે, જ્યારે 2018 કે તેથી સિનિયર અધિકારીઓને જિલ્લામાં SP તરીકે જવાબદારી સોંપાઈ છે. 2012 અને 2013ના બેચના અધિકારીઓને CID ક્રાઈમમાં આર્થિક ગુનાઓની કમાન આપવામાં આવી છે.

સફીન હસન મહિસાગરના SP
IPS સફીન હસનને મહિસાગર જિલ્લાના SP તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાંથી મોટાભાગના અધિકારીઓને બહાર મોકલવામાં આવ્યા છે. ડૉ. હર્ષદ પટેલને અમદાવાદ ઝોન-1માં DCP તરીકે બદલી આપવામાં આવી છે, જ્યારે અક્ષયરાજ મકવાણાને ભરૂચના SP તરીકે મોકલવામાં આવ્યા છે.

મહિલા અધિકારીઓને મોટા ચાર્જ
બે મહિલા DCPને અમદાવાદમાં પોસ્ટિંગ આપવામાં આવી છે. રીમા મુનશીને DCP કંટ્રોલ તરીકે કાયમી પોસ્ટિંગ એનાયત થયું છે, જ્યારે રૂપલ સોલંકીને ઝોન 3ના DCP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે આ બંનેના પતિ પણ અમદાવાદમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે રહ્યા છે.

વડોદરા DCP ઝોન 4 પન્ના મોમાયા સુરત ટ્રાફિક DCP બન્યા છે. ઝૂલી કોઠિયાની સુરત સ્પેશિયલ બ્રાંચમાં ટ્રાન્સફર થઈ છે. તેજલ પટેલને વડોદરા ટ્રાફિક DCP બનાવાયા છે. આ સિવાય સુરત ટ્રાફિક DCP અમિતા વાનાનીને ગાંધીનગર CID ક્રાઈમમાં મોકલવામાં આવી છે.
વડોદરા અને રાજકોટમાં મોટો ફેરફાર
વડોદરા શહેરના અનેક DCP બદલાઈ ગયા છે. યુવરાજસિંહ જાડેજાને વલસાડના SP તરીકે બદલી કરવામાં આવી છે, જ્યારે હરપાલસિંહ રાઠોડને ગાંધીનગર ઇન્ટેલિજન્સ બ્યુરોમાં મોકલવામાં આવ્યા છે.

રાજકોટમાં ચાર DCPની બદલી થઈ છે. સજ્જનસિંહ પરમારને મહેસાણા SRPFમાં મોકલવામાં આવ્યા છે. જગદીશ બાંગરવાને રાજકોટ શહેરમાં DCP ક્રાઈમ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. હિમકરસિંહને અમદાવાદ આર્થિક ગુના શાખામાં DCP તરીકે મોકલવામાં આવ્યા છે.

દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં બદલી
સુરતના અનેક ઝોનમાં નવા અધિકારીઓ આવ્યા છે. પન્ના મોમાયા અગાઉ પણ સુરતમાં સેવા આપી ચૂક્યા છે, જેથી તેમને ફરી ટ્રાફિક DCP તરીકે મોકલવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાનાં SP બદલાઈ ગયા છે. જામનગરના SP પ્રેમસુખ ડેલુની સુરેન્દ્રનગરમાં બદલી થઈ છે. દેવભૂમિ દ્વારકાના નીતિશ પાંડે ભાવનગરના નવા SP બન્યા છે. મોરબીમાં મુકેશકુમાર પટેલ, બોટાદમાં ચિંતન તેરૈયા અને દ્વારકામાં જયરાજસિંહ વાળા SP બન્યા છે.
IAS અધિકારીઓની બદલી
IAS અધિકારી સુજલ માયાત્રાને ગાંધીનગરના ગ્રામીણ વિકાસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સાથે જ તેમને દમણ-દીવ અને દાદરા-નગર હવેલીમાં વસ્તી ગણતરી અને નાગરિક નોંધણી ડાયરેક્ટર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
IAS બી.એમ. પ્રજાપતિને અધિક ગ્રામીણ વિકાસ કમિશનર તરીકે વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે.
આ બદલીઓ પાછળ રાજકીય સમીકરણો, સ્થાનિક અભિપ્રાયો અને કાયદો-વ્યવસ્થા જાળવવાના હેતુઓ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની તાજેતરની ગુજરાત મુલાકાત બાદ આ પ્રકારના ઓર્ડર બહાર આવવાના સંકેતો હતા.
મહિલા અધિકારીઓને પ્રમાણસર તક આપવામાં આવી છે, યુવા અધિકારીઓને શહેરની જવાબદારી આપવામાં આવી છે અને સિનિયરોને આર્થિક ગુનાઓ તથા સ્પેશિયલ જેવી મહત્વપૂર્ણ શાખામાં મુકવામાં આવ્યા છે.
આગામી દિવસોમાં IG અને સિનિયર IPS અધિકારીઓની બદલી પણ થઈ શકે છે. આથી પોલીસ વિભાગમાં હજી વધુ ફેરફારો જોવા મળી શકે છે.
આ પણ વાંચો: Gujarat Weather/ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી
આ પણ વાંચો: Banaskantha News/બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
આ પણ વાંચો: અમદાવાદમાં વરસાદી આફત, નિકોલ, ઓઢવ, શાસ્ત્રીનગરમાં પાણીનો ભરાવો, તંત્ર નિષ્ફળ
